મુખ્ય સામગ્રી પર જાઓ

Kings વિશે બાઇબલની કલમો

580 કલમો · 175 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું.

  2. ¶ જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો; તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું; અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે તેણે કર્યું.

  3. તોપણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો અને તેને તથા તેના વંશજો તેઓનું રાજય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતો ન હતો.

  4. ¶ યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો.

  5. પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા.

  6. તેથી અદોમ બળવો કરીને યહૂદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાહએ પણ યહૂદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ, ઈશ્વરનો ત્યાગ કર્યો હતો.

  7. ¶ આ ઉપરાંત યહોરામે યહૂદિયાના પર્વતોમાં ધર્મસ્થાનો પણ બનાવ્યાં; તેણે યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી અને યહૂદિયાના લોકોને વ્યભિચારની માર્ગે દોર્યા.

  8. ¶ એલિયા પ્રબોધક તરફથી યહોરામ ઉપર એક એવો પત્ર આવ્યો કે, “તારા પિતા દાઉદના પ્રભુ, ઈશ્વર કહે છે: તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં,

  9. ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને આહાબના કુટુંબની જેમ તેં યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓની પાસે વ્યભિચાર કરાવી છે અને તારા પિતાના કુટુંબનાં તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા, તેઓને તેં મારી નાખ્યા છે.

  10. તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારી બધી સંપત્તિ પર મોટી મરકી લાવશે.

  11. તને પોતાને આંતરડાંના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારાં આંતરડાં બહાર આવી જશે.”

  12. ¶ ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.

  13. તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ.

  14. ¶ આ સર્વ બનાવો બન્યા પછી, ઈશ્વરે તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગુ કર્યો.

  15. કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ.

  16. જયારે તે રાજપદે નિયુક્ત થયો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. અને તે મૃત્યુ પામ્યો ત્યારે તે લોકોમાં અપ્રિય થઈ પડ્યો હતો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.

  17. ¶ યરુશાલેમના રહેવાસીઓએ તેના સ્થાને યહોરામના સૌથી નાના દીકરા અહાઝયાહને રાજા તરીકે નિયુક્ત કર્યો; કેમ કે આરબો સાથે જે માણસો છાવણીમાં આવ્યા હતા, તેઓએ તેના બધા મોટા દીકરાઓને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો દીકરો અહાઝયાહ યહૂદાનો રાજા બન્યો.

  18. અહાઝયાહ રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી.

  19. તે પણ આહાબના કુટુંબનાં માર્ગમાં ચાલ્યો કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી.

  20. ¶ આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં સલાહસૂચનો આપતા હતા.

  21. અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.

  22. ¶ રામા આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યહોરામ યિઝ્એલ પાછો ગયો. તેથી યરોહામનો દીકરો અહાઝયાહ જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા યિઝ્રએલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો.

  23. ¶ હવે અહાઝયાહ યોરામને ત્યાં ગયો માટે ઈશ્વર અહાઝયાહ પર નાશ લાવવાના હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યહોરામ સાથે નિમ્શીના દીકરા યેહૂ કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો.

  24. એવું બન્યું કે જયારે યેહૂ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનો અમલ કરતો હતો ત્યારે તે યહૂદાના આગેવાનો અને અહાઝયાહની સેવામાં રહેતા તેના ભાઈઓને મળ્યો. યેહૂએ તેઓને મારી નાખ્યા.

  25. ¶ યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, “યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે.” તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.