Skip to content
ઊત્પત્તિ ૪૧:૧-૩૨

ઊત્પત્તિ ૪૧:૧-૩૨

બે વર્ષ પછી ફારુનને સ્વપ્ન આવ્યું. તેમાં તે નીલ નદીની પાસે ઊભો હતો.
ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.
પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ.
પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં.
તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું.
સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.
એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે.
૧૦
જયારે ફારુનને પોતાના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા,
૧૧
ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં.
૧૨
ત્યાં એક હિબ્રૂ જુવાન જે અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો, તે અમારી સાથે કેદમાં હતો. અમે તેને અમારા સ્વપ્નો જણાવ્યાં અને તેણે અમારા સ્વપ્નના અર્થ કહી બતાવ્યા હતા. તેણે અમને બન્નેને અમારા સ્વપ્ન પ્રમાણે ખુલાસા કરી બતાવ્યાં હતા.
૧૩
તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી.”
૧૪
ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.
૧૫
ફારુને યૂસફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે.”
૧૬
યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે.”
૧૭
ફારુને યૂસફને કહ્યું, “હું મારા સ્વપ્નમાં નીલ નદીને કિનારે ઊભો હતો.
૧૮
ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
૧૯
તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી.
૨૦
તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ.
૨૧
જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.
૨૨
ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં,
૨૩
અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
૨૪
સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે.”
૨૫
યૂસફે ફારુનને કહ્યું, “આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.
૨૬
જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.
૨૭
તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે.
૨૮
જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે.
૨૯
જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.
૩૦
પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે.
૩૧
તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે.
૩૨
ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options