God
God નો ઉલ્લેખ કરતી કલમો
હું તારામાંથી અશેરીમ દેવીને ઉખેડી નાખીશ; તારાં નગરોનો તથા મૂર્તિઓનો નાશ કરીશ.
જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહિ, તેઓ ઉપર હું ક્રોધથી અને કોપથી વેર વાળીશ.”
યહોવાહ જે કહે છે તે હવે તમે સાંભળો. મીખાહે તેને કહ્યું, “ઊઠો અને પર્વતોની આગળ તમારી ફરિયાદ રજૂ કરો; ડુંગરોને તમારો અવાજ સંભળાવો.
હે પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ, તમે યહોવાહની ફરિયાદ સાંભળો. કેમ કે યહોવાહને પોતાના લોકોની સાથે ફરિયાદ છે અને તે ઇઝરાયલની વિરુદ્ધ દાવો ચલાવશે.
“હે મારા લોકો, મેં તમને શું કર્યું છે? મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો.
કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.
હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને બેઓરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો? શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી શું બન્યું તે તમે યાદ કરો, જેથી તમે યહોવાહનાં ન્યાયી કાર્યોને સમજી શકો.”
હું શું લઈને યહોવાહની આગળ આવું? કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, અથવા એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?
શું હજારો ઘેટાંઓથી, કે તેલની દસ હજાર નદીઓથી યહોવાહ ખુશ થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? મારા આત્માનાં પાપને માટે મારા શરીરના ફળનું અર્પણ કરું?
હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે, કે સારું શું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું, યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.
યહોવાહ નગરને બોલાવે છે; જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે: “સોટીનું તથા તેનું નિર્માણ કરનારનું સાંભળ.
ખોટા ત્રાજવાં તથા કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?
તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.
તું ખાશે પણ તૃપ્ત થશે નહિ; તારામાં કંગાલિયત રહેશે. તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહિ, તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ.
ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”
પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.
હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે.
તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય આપશે ત્યાં સુધી, હું યહોવાહનો ક્રોધ સહન કરીશ, કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે, હું તેમનું ન્યાયીપણું જોઈશ.
ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, “તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.
તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.
મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.
તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો; તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો. તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો.
જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ, તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.