ફિલિપ્પીઓને પત્ર૧
Listen to this chapter
0:00
0:00
૧
¶ ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છે
૨
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
૩
¶ પ્રથમ દિવસથી તે આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને માટે,
૪
નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં,
૫
જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું.
૬
જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.
૭
¶ તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને ઉચિત લાગે છે; કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગી હોવાથી, હું તમને મારા હૃદયમાં રાખું છું.
૮
કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમો સર્વ ઉપર કેટલો બધો પ્રેમ રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.
૯
¶ વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય;
૧૦
જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;
૧૧
વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.
૧૨
¶ ભાઈઓ, મને જે જે દુઃખો પડ્યાં, તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયાં, તે તમે જાણો એવું હું ઇચ્છું છું;
૧૩
કેમ કે ખ્રિસ્તને લીધે મારાં જે બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં;
૧૪
અને પ્રભુના સમુદાયના કેટલાક ભાઈઓએ મારાં બંધનોને લીધે વિશ્વાસ રાખીને નિર્ભયપણે ઈશ્વરનું વચન બોલવાની વિશેષ હિંમત રાખી.
૧૫
¶ કેટલાક તો અદેખાઈ તથા વિરોધથી અને કેટલાક સદ્દભાવથી ખ્રિસ્ત ની સુવાર્તા પ્રગટ કરે છે
૧૬
પહેલા તો મારાં બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી, શુદ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે;
૧૭
પણ બીજા, ખ્રિસ્તનાં સુવાર્તા વિષે પ્રત્યુત્તર આપવા માટે હું નિર્મિત થયો છું, એવું જાણીને પ્રેમથી પ્રગટ કરે છે.
૧૮
¶ તો એથી શું? દરેક રીતે, ગમે તો દંભથી કે સત્યથી, ખ્રિસ્ત ની વાત પ્રગટ કરવામાં આવે છે; તેથી હું આનંદ પામું છું અને પામીશ.
૧૯
કેમ કે હું જાણું છું કે, તમારી પ્રાર્થનાથી તથા ઈસુ ખ્રિસ્તનાં આત્માની સહાયથી, એ મારા ઉદ્ધારને માટે ઉપયોગી થઈ પડશે, તે હું જાણું છું.
૨૦
¶ એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તનાં મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.
૨૧
કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે.
૨૨
¶ પણ મનુષ્યદેહમાં જીવવું તે જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું, તે હું જાણતો નથી;
૨૩
કેમ કે આ બે બાબત વચ્ચે હું ગૂંચવણમાં છું દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે વધારે સારું છે;
૨૪
તોપણ મારે મનુષ્યદેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.
૨૫
¶ મને ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમારાં બધાની સાથે રહેવાનો;
૨૬
જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.
૨૭
માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાનાં વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.
૨૮
¶ અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે.
૨૯
કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુઃખ પણ સહેવું, તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે;
૩૦
જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં તમે સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note