Skip to content

લૂક૧૮

આગ્રહ રાખનાર વિધવાનું દૃષ્ટાંત

સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,
‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.
તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’”
કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી,
તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”
પ્રભુએ કહ્યું કે, ‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.
એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’”
હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”

ફરોશી અને કરવેરો ઉઘરાવનાર

કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
૧૦
બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.
૧૧
ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.
૧૨
અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”
૧૩
પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’”
૧૪
હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

ઈસુ બાળકોને સ્વીકારે છે

૧૫
તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
૧૬
તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
૧૭
હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”

ધનવાન અધિકારી અને અનંતજીવન

૧૮
એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’”
૧૯
ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.
૨૦
તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’”
૨૧
તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”
૨૨
ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’”
૨૩
પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
૨૪
ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
૨૫
કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”
૨૬
તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’”
૨૭
પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”
૨૮
પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”
૨૯
ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,
૩૦
તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”

ઈસુ પોતાનાં દુઃખસહન અને પુનરુત્થાનની આગાહી કરે છે

૩૧
ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.
૩૨
કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;
૩૩
વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”
૩૪
પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.

યરિખો નજીક આંધળાને સાજો કરવો

૩૫
એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
૩૬
ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’”
૩૭
તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”
૩૮
તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
૩૯
જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
૪૦
ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
૪૧
‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.
૪૨
ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’
૪૩
અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options