માથ્થી ૨૭:૩૨-૬૧
૩૨
¶ તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
૩૩
તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.
૩૪
તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
૩૫
¶ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
૩૬
અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
૩૭
‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
૩૮
¶ તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
૩૯
પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,
૪૦
“અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”
૪૧
¶ તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,
૪૨
“તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
૪૩
¶ તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”
૪૪
જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.
૪૫
¶ બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
૪૬
આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”
૪૭
જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”
૪૮
¶ તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
૪૯
પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”
૫૦
પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
૫૧
¶ ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.
૫૨
કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.
૫૩
અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.
૫૪
¶ ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”
૫૫
ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
૫૬
તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
૫૭
¶ સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.
૫૮
તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.
૫૯
¶ પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું,
૬૦
અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
૬૧
મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
Settings