Wives વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”
અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ.
¶ જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા.
પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.
¶ ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ.
તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે, “જો! તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો.”
¶ ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?”
¶ સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, “તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી.” સામસૂને તેને કહ્યું, “અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?”
તેઓની ઉજાણીના સાતે દિવસો તેણે રડ્યા કર્યું, સાતમે દિવસે તેણે તેને જવાબ આપ્યો, કેમ કે તેણે તેને ખૂબ દબાણ કર્યું હતું. તેણે પોતાના સંબંધી લોકોને ઉખાણાનો જવાબ કહી દીધો.
તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં.
¶ માર્ગમાં નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને કહ્યું કે, “દીકરીઓ, તમે બન્ને તમારા પિયરમાં પાછાં જાઓ. જેમ તમે મૃત્યુ પામેલા તમારા પતિઓ પર મમતા રાખી હતી તેમ ઈશ્વર તમારા પર કરુણા રાખો.
તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો.
¶ ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મિખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.
¶ આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.
¶ હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો રાજા પાસે અંદર જવાનો ક્રમ આવ્યો ત્યારે એસ્તેરે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે ઠરાવ્યું હતું તે સિવાય બીજું કંઈપણ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેની પ્રશંસા કરી.
¶ એસ્તેરને અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દસમા મહિનામાં એટલે કે ટેબેથ મહિનામાં રાજમહેલમાં લઈ જવામાં આવી.
¶ રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રેમ દર્શાવ્યો. તેણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની બતાવીને તેને શિરે સુવર્ણ મુગટ મૂક્યો. અને વાશ્તી રાણીને સ્થાને તેને રાણી તરીકે સ્વીકારી.
¶ ત્યારે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને સલાહ આપી, “પચાસ ફૂટ ઊંચી એક ફાંસી તૈયાર કરાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાયને તે પર ફાંસી દેવી અને પછી તું આનંદથી રાજા સાથે મિજબાની માણજે.” આ સલાહ હામાનને પસંદ પડી અને તેઓના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી.
¶ ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, “શું હજુ પણ તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ આપ અને મર.”
સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.
ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.
સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.
તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ.
પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.