Samson વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
ત્યાં દાનના કુંટુબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં.
¶ ઈશ્વરના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિઃસંતાન છે અને તને સંતાન થતાં નથી, પણ તને ગર્ભ રહેશે અને તું બાળકને જન્મ આપશે.
હવે ધ્યાન રાખ દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહિ.
જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
¶ ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.
તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે.”
¶ અને તે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
ઈશ્વરનો આત્મા તેને સોરાહ તથા એશ્તાઓલની વચ્ચે, માહનેહ દાનમાં, સંચાર કરવા લાગ્યો.
¶ સામસૂન તિમ્ના નગરમાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી.
જયારે તે પાછો આવ્યો, ત્યારે તેણે પોતાનાં માતાપિતાને કહ્યું, “મેં એક સ્ત્રીને તિમ્નામાં જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની છે. મારી સાથે તેના લગ્ન કરાવો.”
¶ પણ તેનાં માતાપિતાએ તેને કહ્યું, “શું આપણાં સગાંઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બેસુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે?” સામસૂને તેના પિતાને કહ્યું, “તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે.”
પણ તેનાં માતાપિતા જાણતાં નહોતા કે આ તો ઈશ્વરનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીઓ સાથે વિરોધ કરવા ઇચ્છતો હતો તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.
¶ ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી.
ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.
¶ તે ગયો અને તે સ્ત્રી સાથે વાતચીત કરી, જયારે તેણે તેની તરફ જોયું, તે સામસૂનને ખૂબ ગમી.
થોડા દિવસો પછી તે તેની સાથે લગ્ન કરી પાછો ફર્યો, ત્યારે તે સિંહનાં મુડદાને જોવા પાછો ફર્યો. અને ત્યાં સિંહના શરીરનો જે ભાગ બાકી પડેલો હતો તેના પર મધમાખીઓનું ટોળું તથા મધ હતું.
હાથમાં મધ લઈને તે ખાતા ખાતા ચાલ્યો. અને પોતાના માતાપિતા પાસે આવ્યો, ત્યારે તેણે તેઓને થોડું આપ્યું અને તેઓએ ખાધું. પણ તેણે તેઓને કહ્યું નહિ કે સિંહના શરીરનો જે ભાગ બાકી હતો તેના પરથી આ મધ કાઢી લાવ્યો છું.
¶ જ્યાં તે સ્ત્રી હતી ત્યાં સામસૂનના પિતા ગયા અને સામસૂને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાન પુરુષોનો આ રિવાજ હતો.
સ્ત્રીના સંબંધીઓએ તેને જોયો, તેઓ તેમના બીજા ત્રીસ મિત્રોને તેની સાથે લઈ આવ્યા.
¶ સામસૂને તેઓને કહ્યું, “હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના સાત દિવસોમાં તેનો જવાબ કહે, તો હું શણના ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો તેને આપીશ.
પણ જો તમે મને જવાબ નહિ કહો, તો તમારે મને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો આપવાં પડશે.” તેઓએ તેને કહ્યું, “અમને તારું ઉખાણું કહે, તેથી અમે તે સાંભળીએ.”
¶ તેણે તેઓને કહ્યું, “ખાઈ જનારમાંથી, કંઈક ખોરાક નીકળ્યો; બળવાનમાંથી, કંઈક મીઠાશ નિકળી.” પણ તેના મહેમાનો ત્રણ દિવસમાં ઉખાણાનો જવાબ આપી શક્યા નહિ.
¶ ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?”
¶ સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, “તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી.” સામસૂને તેને કહ્યું, “અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?”
તેઓની ઉજાણીના સાતે દિવસો તેણે રડ્યા કર્યું, સાતમે દિવસે તેણે તેને જવાબ આપ્યો, કેમ કે તેણે તેને ખૂબ દબાણ કર્યું હતું. તેણે પોતાના સંબંધી લોકોને ઉખાણાનો જવાબ કહી દીધો.