Moabites વિશે બાઇબલની કલમો: Desolation and grief
Desolation and grief વિશે કલમો
¶ મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર અને ચોકમાં પોક મૂકીને રડે છે.
વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.
માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.
“સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા.” કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે.
ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે.
અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે.
તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો.
કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.
ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે.