પુનર્નિયમ ૨:૧-૨૫
૧
¶ પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.
૨
પછી યહોવાહે મને કહ્યું, કે,
૩
“આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
૪
¶ લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો.
૫
તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.
૬
¶ નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો.
૭
કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.’”
૮
¶ જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા. અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.
૯
¶ યહોવાહે મને કહ્યું કે, “મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે.”
૧૦
¶ અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
૧૧
અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
૧૨
¶ અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
૧૩
¶ “હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો.” તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
૧૪
આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી.
૧૫
વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
૧૬
¶ હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
૧૭
યહોવાહે મને કહ્યું કે,
૧૮
તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
૧૯
અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે.”
૨૦
¶ તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.
૨૧
તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.
૨૨
જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
૨૩
¶ અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
૨૪
¶ “હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.
૨૫
હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”
Settings