Select Readings વિશે બાઇબલની કલમો: Esther's triumph
Esther's triumph વિશે કલમો
¶ જ્યારે મોર્દખાયે જે બધું થયું તે જાણ્યું ત્યારે દુઃખના માર્યા તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળીને ટાટ પહેર્યું. પછી નગરમાં નીકળી પડ્યો અને ઊંચા સાદે દુઃખથી પોક મૂકીને રડ્યો.
તે છેક રાજાના મહેલના દરવાજા આગળ આવ્યો ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી.
જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં મોટો શોક, ઉપવાસ, વિલાપ તથા કલ્પાંત પ્રસરી રહ્યાં. અને ઘણાં તો ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂઈ રહ્યાં.
¶ જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે રાણીએ ખૂબ ગમગીની થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ તેણે તે પહેર્યાં નહિ.
રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક જણ હતો. તેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો. એસ્તેરે તેને બોલાવીને કહ્યું, મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે શી બાબત છે? આવું કરવાનું કારણ શું છે?
¶ હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગરના ચોકમાં મોર્દખાય પાસે ગયો.
અને મોર્દખાયે તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો.
વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે બતાવે. અને તેને કહી સંભળાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.
¶ પછી હથાકે આવીને મોર્દખાયે જે કહેલું હતું. તે એસ્તેરને જણાવ્યું.
ત્યારે એસ્તેરે હથાક સાથે વાત કરીને મોર્દખાય પર સંદેશો મોકલ્યો.
તેણે કહ્યું કે, “રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના બધા જ લોકો જાણે છે કે, કોઈ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી અંદરનાં ચોકમાં રાજાની પાસે જાય તે વિષે એક જ કાયદો છે કે, તેને મૃત્યુની સજા કરવામાં આવે, સિવાય કે રાજા તે વ્યક્તિ સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ ત્રીસ દિવસથી રાજાની સમક્ષ જવાનું તેડું મળ્યું નથી.”
એસ્તેરનો સંદેશો તેણે જઈને મોર્દખાયને કહી સંભળાવ્યો.
¶ ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે. એવું તારે પોતાના મનમાં માનવું નહિ.
જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે. પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?’”
¶ ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, તારે મોર્દખાયને એવો જવાબ આપવો કે,
“જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઈએ ખાવુંપીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ નિયમ વિરુદ્ધ હોવા છતાં હું રાજાની સમક્ષ જઈશ. જો મારો નાશ થાય, તો ભલે થાય.”
ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.
¶ રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા.
બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું; “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.”
¶ ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, “હે રાજા જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો એ મારી અરજ છે અને મને મારા લોક આપો તેઓને જીવતા રહેવા દો. એટલી મારી વિનંતી છે.
કારણ કે અમે એટલે હું તથા મારા લોક, મારી નંખાવા માટે અને કતલ થઈ જવા માટે વેચાયાં છીએ જો અમને ફક્ત ગુલામ તથા ગુલામડીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઈ પણ માગ્યું ન હોત, પણ જે ખલેલ રાજાને થશે તેને સરખામણીમાં અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.”
ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું જેણે આવું કરવાની હીંમત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં છે?”
¶ એસ્તેરે કહ્યું, “તે વેરી તથા વિરોધી તો આ દુષ્ટ હામાન જ છે” આ સાંભળીને રાજા અને રાણીની સામે હામાન ગભરાયો.
રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને રાજમહેલના બગીચામાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવા એસ્તેર રાણીને વિનંતી કરવા ઊભો રહ્યો. કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.
¶ જ્યારે રાજા મહેલના બગીચામાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડી રહ્યો હતો. રાજાએ કહ્યું “શું મારા મહેલમાં મારા દેખતાં જ હામાન રાણી પર બળાત્કાર કરશે?” રાજાના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ રાજાના સેવકોએ હામાનનો ચહેરો ઢાંકી દીધો.