God
God નો ઉલ્લેખ કરતી કલમો
કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું. હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.
તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે. જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.
હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.
જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે, તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.
જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ.
વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે. અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે.
તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ.
હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે.
જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે. જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.
હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે; તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ. યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.
જ્યાં સુધી તે યરુશાલેમને ફરીથી સ્થાપે અને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહિ.
યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.
કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.”
જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: “સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે! જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’”
તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે.
આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું.
હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે.
કેમ કે તેમણે કહ્યું, “ખરેખર તેઓ મારા લોકો છે, કપટ ન કરે એવાં છોકરાં છે.” તે તેઓના ઉદ્ધારક થયા.
તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.
પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા.
તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. તેઓએ કહ્યું, “સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે?
જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે?
ખીણમાં ઊતરી જનારાં જાનવરની જેમ તેઓ યહોવાહના આત્માથી વિશ્રામ પામ્યા; તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા.
આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે.
કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે.