Skip to content

યર્મિયા૫૨

સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.
સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાહની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું.
યહોવાહના કોપને લીધે યરુશાલેમમાં અને યહૂદિયામાં આ સર્વ ઘટનાઓ બનતી રહી, છેવટે તેમણે તેઓને પોતાના સાન્નિધ્યમાંથી નસાડી મૂક્યા. અને સિદકિયાએ બાબિલના રાજા સામે બંડ કર્યું.
સિદકિયાના રાજ્યકાળમાં નવમા વર્ષના દસમા મહિનાના દસમાં દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત આવીને યરુશાલેમ પર હુમલો કર્યો. તેઓએ તેને ઘેરો ઘાલી અને તેની ચારેતરફ મોરચા બાંધ્યાં.
સિદકિયા રાજાના શાસનના અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું.
ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાઈ અને લોકોને માટે ખાવાને બિલકુલ અન્ન નહોતું.
પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું. અને સઘળા લડવૈયા નાસી ગયા. બે દીવાલો વચ્ચે રાજાની વાડીની પાસે જે ભાગળ હતી તેમાં થઈને રાતોરાત નગરમાંથી નીકળીને નાસી ગયા. તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ અરાબાને માર્ગે આગળ વધ્યા.
પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.
બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઈ ગયા અને રાજા આગળ રજૂ કર્યો. અને તેણે તેનો ઇનસાફ કર્યો.
૧૦
બાબિલના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા અને યહૂદિયાના બધા સરદારોને પણ રિબ્લાહમાં મારી નાખ્યા.
૧૧
ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
૧૨
હવે પાંચમા મહિનાના દસમા દિવસે એટલે કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષમાં રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાનને જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો તે યરુશાલેમમાં આવ્યો.
૧૩
તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને અને યરુશાલેમના દરેક ઘરને બાળી નાખ્યાં; વળી તેણે દરેક મોટી ઇમારતો બાળી નાખી.
૧૪
વળી રક્ષક ટુકડીના સરદાર સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસની દીવાલોને તોડી પાડી.
૧૫
લોકોમાંના કેટલાક ગરીબ માણસોને તથા નગરના બાકી રહી ગયેલા લોકોને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને અને બાકી રહી ગયેલા કારીગરોને, રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાન બંદીવાસમાં લઈ ગયો.
૧૬
પરંતુ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
૧૭
યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભો, પાયાઓ, પિત્તળના સમુદ્રને ખાલદીઓએ ભાગીને ટુકડેટુકડા કરી નાખ્યા. અને તેઓનું બધું પિત્તળ બાબિલ લઈ ગયા.
૧૮
વળી કુંડાંઓ, પાવડીઓ, દીવાની કાતરો, વાટકા અને જે સર્વ પિત્તળના પાત્રો વડે યાજકો ઘરમાં સેવા કરતા હતા તે સર્વ ખાલદીઓ લઈ ગયા.
૧૯
પ્યાલાઓ, ધૂપદાનીઓ, કટોરા, ઘડાઓ, દીવીઓ, તપેલાંઓ, વાટકાઓ એટલે જે સોનાનું બનેલું હતું તે અને જે રૂપાનું બનેલું હતું તે, રક્ષક ટુકડીનો સરદાર લઈ ગયો.
૨૦
જે બે સ્તંભો તથા એક સમુદ્ર તથા પાયાની નીચે પિત્તળના બાર બળદ સુલેમાન રાજાએ યહોવાહના મંદિરને સારુ બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા.
૨૧
દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો અને બાર હાથની દોરી જેટલે પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું.
૨૨
વળી દરેક પર પિત્તળનો કળશ હતો. દરેક કળશ પાંચ હાથ ઊંચો હતો. તેની ચારે બાજુ જાળીદાર નકશી તથા દાડમો હતાં. તે સર્વ પિત્તળના હતાં. વળી બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંના જેવાં જ હતાં.
૨૩
ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં.
૨૪
રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને ત્રણ મુખ્ય રક્ષકોને પકડી લીધા.
૨૫
નગરમાંથી તેણે કેદીઓનો અધિકારી જે સૈનિકોનો ઉપરી હતો તેને અને રાજાની હજૂરમાં રહેનારા સાત માણસો લીધા. વળી તેઓને, સેનાપતિનો લહિયો, જે સૈન્યમાં દાખલ થનારની નોંધ રાખતો હતો તેને અને દેશના લોકોમાંના જે સાઠ નામાંકિત માણસો હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.
૨૬
રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો.
૨૭
અને હમાથ દેશના રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને મારી નંખાવ્યા. આમ, યહૂદિયાના લોકો પોતાના દેશમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
૨૮
જે લોકોને નબૂખાદનેસ્સારને બંદીવાસમાં લઈ ગયો તેઓની સંખ્યા નીચે મુજબ હતી; સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ.
૨૯
અને નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ લોકોને કેદ કરીને લઈ ગયો.
૩૦
નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો હતો. આમ કુલ ચાર હજાર છસો લોકો હતા.
૩૧
યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો.
૩૨
તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો.
૩૩
આથી યહોયાકીમે કારાવાસનાં વસ્ત્રો ઉતારી નાખીને, તેણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા. અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું.
૩૪
અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિર્વાહ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે આપવામાં આવ્યું.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options