મુખ્ય સામગ્રી પર જાઓ

1 શમુએલ૧૯

યોનાથાન દાઉદ માટે મધ્યસ્થી કરે છે

શાઉલે તેના દીકરા યોનાથાનને તથા તેના સર્વ નોકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ યોનાથાન, તો દાઉદ પર પ્રસન્ન હતો.
તેથી યોનાથાને દાઉદને કહ્યું, “મારો પિતા શાઉલ તને મારી નાખવા શોધે છે. માટે કૃપા કરીને તું સવારમાં સાવચેત થઈને કોઈ ગુપ્ત જગ્યામાં સંતાઈ રહેજે.
હું બહાર નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ અને મારા પિતાની સાથે તારા વિષે વાત કરીશ. જો હું કંઈ જોઈશ તો તને ખબર આપીશ.”
યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં તેને કહ્યું, “રાજા પોતાના ચાકર દાઉદની વિરુદ્ધ પાપ ન કરે; કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, તારી પ્રત્યે ઘણાં સારાં કામો કર્યા છે;
તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને બળવાન પલિસ્તીઓને માર્યા અને ઈશ્વરે સર્વ ઇઝરાયલને માટે મોટો વિજય મેળવ્યો. તે તમે જોયું અને હર્ષ પામ્યા. ત્યારે કારણ વગર દાઉદને મારી નાખીને નિર્દોષ લોહી વહેડાવીને શા માટે પાપ કરો છો?”
શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું. “શાઉલે જીવતા ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, તે માર્યો નહિ જાય.”
પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, યોનાથાને તેને એ સર્વ વાતો કહી. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, તે આગળની માફક તેની સમક્ષતામાં રહ્યો.

શાઉલ ફરીથી દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરે છે

ફરીથી યુદ્ધ થયું. દાઉદ જઈને પલિસ્તીઓની સાથે લડ્યો અને હરાવીને તેઓનો મોટો સંહાર કર્યો. તેઓ તેની આગળથી નાસી ગયા.
ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો.
૧૦
શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંતે સાથે જડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ તે શાઉલની પાસેથી છટકી ગયો, તેથી તેને મારેલો ભાલો ભીંતમા ઘૂસી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.

મીકાલ દાઉદનો જીવ બચાવે છે

૧૧
શાઉલે દાઉદ પર ચોકી રાખીને તથા તેને સવારે મારી નાખવા માટે તેને ઘરે સંદેશવાહકો મોકલ્યા. દાઉદની પત્ની મિખાલે, તેને કહ્યું, “જો આજે રાતે તું તારો જીવ નહિ બચાવે, તો કાલે તું માર્યો જશે.”
૧૨
મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો. તે નાસી જઈને, બચી ગયો.
૧૩
મિખાલે ઘરની મૂર્તિઓ લઈને પલંગ પર સુવાડી. પછી તેણે બકરાના વાળનો તકિયો તેના માથા પર મૂક્યો અને તેના પર વસ્ત્રો ઓઢાડ્યાં.
૧૪
જયારે શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા, ત્યારે મિખાલે કહ્યું, “તે બીમાર છે.”
૧૫
ત્યારે શાઉલે દાઉદને પકડી લાવવા માટે એવું કહીને માણસોને મોકલ્યા કે “તેને પલંગમાં સૂતેલો જ મારી પાસે ઊંચકી લાવો, કે હું તેને મારી નાખું.”
૧૬
જયારે દાઉદના માણસો અંદર આવ્યા ત્યારે, જુઓ, પલંગ પર ઘરની મૂર્તિઓ તથા બકરાના વાળનો તકિયો તેના માથાની જગ્યામાં મૂકેલો હતો.
૧૭
શાઉલે મિખાલને કહ્યું, “તેં કેમ મને આ રીતે છેતરીને મારા શત્રુને જવા દીધો, કે જેથી તે બચી ગયો છે?” મિખાલે શાઉલને ઉત્તર આપ્યો, “તેણે મને કહ્યું કે, ‘મને જવા દે, શા માટે હું તને મારી નાખું?’”

દાઉદ શમુએલ પાસે નાસી જાય છે; શાઉલ પ્રબોધ કરે છે

૧૮
હવે દાઉદ નાસી જઈને બચી ગયો, શમુએલ પાસે રામામાં આવીને જે સઘળું શાઉલે તેને કર્યું તે તેને કહ્યું. અને તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા.
૧૯
શાઉલને જણાવવાંમાં આવ્યું કે, “જો, દાઉદ રામાના નાયોથમાં છે.”
૨૦
પછી શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા. જયારે તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી જોઈ અને શમુએલને તેઓના ઉપરી તરીકે તેઓ મધ્યે ઊભો રહેલો જોયો, શાઉલના માણસો પર ઈશ્વરનો આત્મા ઊતરી આવ્યો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
૨૧
જયારે શાઉલને આ કહેવામાં આવ્યું ત્યારે તેણે બીજા માણસો મોકલ્યા અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. તે શાઉલે ફરી ત્રીજી વાર સંદેશવાહક મોકલ્યા તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
૨૨
પછી શાઉલ પણ રામામાં ગયો અને સેખુમાંના ઊંડા કૂવા પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શમુએલ તથા દાઉદ ક્યાં છે?” કોઈએકે કહ્યું, “જો, તેઓ રામાના નાયોથમાં છે.”
૨૩
શાઉલ રામાના નાયોથમાં ગયો. અને ઈશ્વરનો આત્મા તેના પર પણ આવ્યો, તે રામાના નાયોથ પહોંચ્યો ત્યાં સુધી પ્રબોધ તેણે કર્યો.
૨૪
અને તેણે પણ, પોતાનાં વસ્ત્ર ઉતાર્યા, તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, તે આખો દિવસ તથા રાત વસ્ત્રવિહીન અવસ્થામાં પડી રહ્યો. આ કારણથી તેઓમાં કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options