માથ્થી ૨૭:૧-૨૬
૧
¶ હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
૨
પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
૩
¶ જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,
૪
“નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”
૫
પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
૬
¶ મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”
૭
તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.
૮
તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.
૯
¶ ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,
૧૦
અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”
૧૧
¶ અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”
૧૨
મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
૧૩
ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”
૧૪
ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.
૧૫
¶ હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.
૧૬
તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
૧૭
¶ તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
૧૮
કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.
૧૯
જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”
૨૦
¶ હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
૨૧
પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’
૨૨
પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
૨૩
¶ ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’
૨૪
જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”
૨૫
¶ ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”
૨૬
ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
Settings