Skip to content
ઊત્પત્તિ ૩૧:૧-૨૧

ઊત્પત્તિ ૩૧:૧-૨૧

હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, “જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે.”
યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.
પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.
યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં.
અને તેઓને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે.
તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.
તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ.”
તેણે કહ્યું હતું કે, ‘છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,’ પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં.
એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.
૧૦
એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં.
૧૧
ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ.’ મેં કહ્યું, ‘હું આ રહ્યો”
૧૨
તેણે કહ્યું, ‘તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે.
૧૩
જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા.”
૧૪
રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, “શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?
૧૫
શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.
૧૬
કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો.”
૧૭
પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં.
૧૮
તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.
૧૯
પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી.
૨૦
યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો.
૨૧
તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options