Abner વિશે બાઇબલની કલમો: Loyalty of, to the house of Saul
Loyalty of, to the house of Saul વિશે કલમો
¶ પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો;
તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.
જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું.
દાઉદે સાત વર્ષ અને છ મહિના સુધી હેબ્રોનમાં યહૂદાના કુળ પર રાજ કર્યું.
¶ નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા.
સરુયાનો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળાં પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા.
આબ્નેરે યોઆબને કહ્યું કે, “કૃપા કરી જુવાન માણસોને અમારી સમક્ષ આવીને હરીફાઈ કરવા દે.” પછી યોઆબે કહ્યું, “તેઓને આવવા દો.”
પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર.
તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, “હેલ્કાથ-હાસ્સુરીમ” અથવા “તલવારોનું ખેતર” એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે.
તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો.
સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.
અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો.
આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, “શું તું અસાહેલ છે?” તેણે જવાબ આપ્યો કે, “હું તે છું.”
આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુ તરફ વળી જા. અને એક જુવાન માણસને પકડીને તેનાં શસ્ત્ર લઈ લે.” પણ અસાહેલ કોઈ બાજુએ વળ્યો નહિ.
તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, “મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?”
પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા.
પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા.
બિન્યામીનના માણસો પોતે આબ્નેરની પાછળ એકત્ર થયા અને તેઓ પર્વતના શિખર ઉપર ઊભા રહ્યા.
ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, શું તલવાર હંમેશા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનો અંત તો કડવો થશે? તારા જે માણસો તેઓના ભાઈઓની પાછળ પડ્યા છે તેઓને ત્યાંથી પાછા વળી જવાનું કહેવાને તું ક્યાં સુધી રાહ જોઈશ?”
યોઆબે જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ, જો તેં કહ્યું ન હોત તો નિશ્ચે સવાર સુધી મારા સૈનિકો તેઓના ભાઈઓની પાછળ પડ્યા ન હોત.”
પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું.
આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા.
યોઆબે આબ્નેરની પાછળ પડવાનું અટકાવી દીધું. તે પાછો ફર્યો. તેણે સર્વ માણસોને એકત્ર કર્યા. તો તેઓમાંથી અસાહેલ અને દાઉદના સૈનિકોમાંથી ઓગણીસ માણસો ઓછા થયેલા હતા.
પણ દાઉદના માણસોએ આબ્નેર તથા બિન્યામીનના ત્રણ સો સાઠ માણસોને માર્યા.
પછી તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાં તેના પિતાની કબરમાં દફ્નાવ્યો. યોઆબ અને તેના માણસો આખી રાત ચાલ્યા અને સૂર્યોદય થતાં હેબ્રોનમાં પહોંચ્યા.