God
God નો ઉલ્લેખ કરતી કલમો
હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે.
તેમણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે.
તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ.”
મેં વિચાર્યું કે મેં નિરર્થક મહેનત કરી છે, મેં મારું સામર્થ્ય વ્યર્થ ખરચી નાખ્યું છે, તો પણ મારો ઇનસાફ યહોવાહની પાસે છે અને મારો બદલો મારા ઈશ્વર પાસે છે.
હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે.
તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે.”
ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: “રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે.
યહોવાહ એવું કહે છે: એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ; હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે.
તું બંદીવાનોને કહેશે, ‘બહાર આવો;’ જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, ‘પ્રકાશમાં આવો.’ તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે.
તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.
મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.”
હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.
પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.”
શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે.
તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે.
તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, ‘આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.’
પછી તું તારા મનમાં કહેશે, ‘મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?”
પ્રભુ યહોવાહ એવું કહે છે: “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.
રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.”
પણ યહોવાહ એવું કહે છે કે: “હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; કેમ કે હું તારા દુષ્ટોનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ.
અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉદ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”
યહોવાહ પૂછે છે કે, “છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા? અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા? જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી.
હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.
હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું.”