પુનર્નિયમ૧૦
Listen to this chapter
0:00
0:00
૧
¶ તે સમયે યહોવાહે મને કહ્યું, “પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ.
૨
પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે.”
૩
¶ માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો.
૪
સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.
૫
¶ પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.
૬
¶ ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી.
૭
ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
૮
¶ તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે.
૯
તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.
૧૦
¶ અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ.
૧૧
પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે.
૧૨
¶ હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે.
૧૩
અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
૧૪
¶ જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.
૧૫
તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.
૧૬
¶ તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો.
૧૭
કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
૧૮
¶ તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
૧૯
તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
૨૦
¶ તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.
૨૧
તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
૨૨
¶ જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note