2 શમુએલ૧૨
Listen to this chapter
0:00
0:00
૧
¶ પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, “નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.
૨
ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં,
૩
પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.
૪
¶ એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું.”
૫
એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, “જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.
૬
તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ.”
૭
¶ પછી નાથાને દાઉદને કહ્યું કે, “તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.
૮
મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત.
૯
¶ તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.
૧૦
તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.’
૧૧
ઈશ્વર કહે છે કે, ‘જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.
૧૨
કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.’”
૧૩
પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે, “મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને દાઉદને જવાબ આપ્યો કે, “ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે. તું માર્યો જઈશ નહિ.
૧૪
¶ તોપણ આ કૃત્ય કરીને તેં ઈશ્વરનાં વૈરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જનમશે તે નિશ્ચે મરી જશે.”
૧૫
પછી નાથાન ત્યાંથી પોતાના ઘરે ગયો. ઈશ્વરે દાઉદથી ઉરિયાની પત્નીને જે બાળક જનમ્યું તેને રોગિષ્ઠ કર્યું, તે ઘણું બીમાર હતું.
૧૬
¶ દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
૧૭
તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો તેની પાસે આવીને ઊભા રહ્યા, પણ તે ઊઠ્યો નહિ, તેણે તેઓની સાથે કશું ખાધું પણ નહિ.
૧૮
સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. હવે એ બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતાં દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે, “જુઓ, જયારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે તેને કહીએ કે, બાળક મરી ગયું છે, તો તે પોતાને શું કરશે?!”
૧૯
¶ પણ જયારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે, “શું બાળક મરી ગયું છે?” તેઓએ જવાબ આપ્યો કે, “હા તે મરી ગયું છે.”
૨૦
પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.
૨૧
¶ પછી તેના ચાકરોએ તેને કહ્યું કે, “શા માટે તેં આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ જયારે બાળક મરી ગયું ત્યારે તેં ઊઠીને ખોરાક ખાધો?
૨૨
દાઉદે જવાબ આપ્યો, “જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો. મેં કહ્યું કે, “કોણ જાણે છે કે, ઈશ્વર મારા પર કૃપા કરીને બાળકને જીવતું રહેવા દે?
૨૩
પણ હવે તે મરણ પામ્યું છે, તો હવે શા માટે મારે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું છું? તે મારી પાસે પાછું આવશે નહિ પણ હું તેની પાસે જઈશ.”
૨૪
¶ દાઉદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બાથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા.
૨૫
તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ ‘યદીદયા’ રાખ્યું.
૨૬
¶ હવે યોઆબે આમ્મોનીઓના રાજનગર રાબ્બા વિરુદ્ધ લડાઈ કરી. અને તેના કિલ્લાઓ કબજે કરી લીધા.
૨૭
પછી યોઆબે દાઉદ પાસે સંદેશાવાહકો મોકલીને કહ્યું કે, “હું રાબ્બા સામે લડ્યો છું અને મેં તે નગરનો પાણી પુરવઠો નિયંત્રિત કર્યો છે.
૨૮
તો હવે બાકીના સૈન્યને એકસાથે એકત્ર કર અને નગરની સામે છાવણી કરીને તેને કબજે કર, કેમ કે જો હું તે નગર લઈ લઈશ, તો તે મારા નામથી ઓળખાશે.”
૨૯
¶ તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો; તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું.
૩૦
દાઉદે ત્યાંના રાજા મોલોખનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો. તે મુગટ સુવર્ણનો હતો. તેનું વજન એક તાલંત સોના જેવું હતું, તેમાં મૂલ્યવાન પાષાણો જડેલાં હતાં. તે મુગટ દાઉદને માથે મૂકવામાં આવ્યો. પછી તે નગરમાંથી મોટા પ્રમાણમાં લૂંટ લઈને બહાર આવ્યો.
૩૧
¶ દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note