Skip to content
1 રાજઓ ૯:૧૦-૨૪

1 રાજઓ ૯:૧૦-૨૪

૧૦
સુલેમાનને યહોવાહનું ભક્તિસ્થાન અને મહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યાં હતાં.
૧૧
તૂરના રાજા હીરામે સુલેમાનને દેવદારનાં લાકડાં, એરેજવૃક્ષનાં લાકડાં, સોનું અને બીજું જે કંઈ જોઈતું હોય તે આપ્યું, તેથી રાજા સુલેમાને હીરામને ગાલીલ પ્રદેશમાંના વીસ ગામો આપ્યાં.
૧૨
સુલેમાને આપેલાં ગામો જોવા માટે હીરામ તૂરથી ત્યાં આવ્યો પણ એ ગામો તેને ગમ્યાં નહિ.
૧૩
તેથી હીરામે કહ્યું, “મારા ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ કાબૂલ રાખ્યું, તે પ્રદેશ આજે પણ તે જ નામે ઓળખાય છે.
૧૪
હીરામે સુલેમાન રાજાને તે ઉપરાંત એકસો વીસ તાલંત સોનું ભક્તિસ્થાનના બાંધકામ માટે મોકલી આપ્યું હતું.
૧૫
સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.
૧૬
મિસરના રાજા ફારુને ગેઝેર પર ચઢાઈ કરી તેને કબજે કર્યું હતું અને બાળી મૂકયું હતું. અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે તે નગર પોતાની દીકરીને એટલે સુલેમાનની પત્નીને લગ્નની ભેટમાં આપ્યું.
૧૭
તેથી સુલેમાને ગેઝેર, નીચાણનું બેથ-હોરોન,
૧૮
બાલાથ અને તામાર અરણ્યમાં આવેલું તાદમોર ફરી બાંધ્યાં.
૧૯
તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.
૨૦
હજી કેટલાક અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ કે જેઓ ઇઝરાયલી નહોતા, તેઓ ઇઝરાયલીઓની વચ્ચે રહેતા હતા.
૨૧
જેઓનો સંપૂર્ણ નાશ ઇઝરાયલીઓ કરી શકયા નહોતા તેઓના વંશજો તેઓ હતા. સુલેમાને તેઓને બળજબરીથી ગુલામ બનાવી દીધા હતા, જે આજ દિન સુધી છે.
૨૨
સુલેમાને કોઈ ઇઝરાયલીઓને ગુલામ બનાવ્યા નહોતા. પણ તેના બદલે તેઓને તેના સૈનિકો, ચાકરો, અધિપતિઓ, અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો બનાવ્યા હતા.
૨૩
સુલેમાનનાં બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા પાંચસો પચાસ હતી.
૨૪
ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાને તેને માટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાને મિલ્લોનગર બંધાવ્યુ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options