Skip to content
1 રાજઓ ૨:૨૫-૪૬

1 રાજઓ ૨:૨૫-૪૬

૨૫
તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.
૨૬
પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.”
૨૭
આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.
૨૮
યોઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યોઆબે અદોનિયાનાનો પક્ષ લીધો, પણ તેણે આબ્શાલોમનો પક્ષ લીધો ન હતો. તેથી યોઆબે યહોવાહના મંડપમાં નાસી જઈને વેદીના શિંગ પકડ્યાં.
૨૯
સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને મારી નાખ.”
૩૦
તેથી બનાયાએ યહોવાહના મંડપમાં આવીને તેને કહ્યું, “રાજા કહે છે, ‘બહાર આવ.’ યોઆબે જવાબ આપ્યો, “ના, હું તો અહીં મરણ પામીશ.” તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહ્યું જણાવ્યું, “યોઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઇચ્છે છે.”
૩૧
રાજાએ તેને કહ્યું, “તેના કહ્યા પ્રમાણે કર. તેને મારી નાખ અને દફનાવી દે, કે જેથી યોઆબે વગર કારણે પાડેલા લોહીનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.
૩૨
તેણે વહેવડાવેલું લોહી ઈશ્વર તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી એવા બે સારા માણસો પર, એટલે નેરના દીકરા એટલે ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર હુમલો કરીને તેઓને તલવારથી મારી નાખ્યા.
૩૩
તેથી તેઓનું લોહી યોઆબના માથા પર તથા તેના વંશજોના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને, તથા તેના રાજ્યાસનને યહોવાહ તરફથી સર્વકાળ શાંતિ મળશે.”
૩૪
પછી યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દફનાવવામાં આવ્યો.
૩૫
તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ તરીકે અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક તરીકે નીમ્યા.
૩૬
પછી રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવીને તેને કહ્યું, “તું યરુશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે અને ત્યાંથી ક્યાંય જતો નહિ.
૩૭
કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું ચોક્કસ મરણ પામીશ. તારું લોહી તારે પોતાને માથે આવશે.”
૩૮
તેથી શિમઈએ રાજાને કહ્યું, “તું જે કહે છે તે સારું છે. જેમ મારા માલિક રાજાએ કહ્યું તેમ તારો સેવક કરશે.” તેથી શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસો સુધી રહ્યો.
૩૯
પણ ત્રણ વર્ષના અંતે, શિમઈના બે ચાકરો માકાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. તેની તેઓએ શિમઈને ખબર આપી, “જો, તારા ચાકરો ગાથમાં છે.”
૪૦
પછી શિમઈ ઊઠીને ગધેડા પર જીન બાંધીને પોતાના ચાકરોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને પોતાના ચાકરોને ગાથથી પાછા લાવ્યો.
૪૧
જયારે સુલેમાનને કહેવામાં આવ્યું કે શિમઈ યરુશાલેમથી રવાના થઈ ગાથ ગયો હતો અને પાછો આવી ગયો છે,
૪૨
ત્યારે રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવડાવીને કહ્યું, “શું મેં તને યહોવાહના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું, ‘જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે?’ પછી તેં મને કહ્યું હતું, ‘તું જે કહે છે તે સારું છે.’”
૪૩
તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?”
૪૪
વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું તારા હૃદયમાં સારી રીતે જાણે છે. માટે તારી દુષ્ટતા યહોવાહ તારે માથે પાછી વાળશે.
૪૫
પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાહની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”
૪૬
અને રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા આપી અને તેણે બહાર નીકળીને શિમઈને મારી નાખ્યો. તેથી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options