1 રાજઓ ૨:૧૩-૨૭
૧૩
¶ પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.”
૧૪
પછી તેણે કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” તેથી તેણે જવાબ આપ્યો “બોલ.”
૧૫
અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.
૧૬
¶ હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”
૧૭
તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”
૧૮
બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
૧૯
¶ બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.
૨૦
પછી તેણે કહ્યું, “મારે તને એક નાની વિનંતી કરવાની છે; મને ના પાડીશ નહિ.” રાજાએ જવાબ આપ્યો, “બોલ, મારી માતા, હું તને ના નહિ પાડું.”
૨૧
તેણે કહ્યું, “શૂનામ્મી અબીશાગનું લગ્ન તું તારા ભાઈ અદોનિયા સાથે કરાવ.”
૨૨
¶ સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, “તું અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ માગ.”
૨૩
પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો.
૨૪
¶ તો હવે જીવતા યહોવાહ કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે અને મારા માટે ઘર બનાવ્યું છે તેમની હાજરીમાં અદોનિયા ચોક્કસ માર્યો જશે.”
૨૫
તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.
૨૬
¶ પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.”
૨૭
આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.
Settings