Skip to content
2 કાળવ્રત્તાંત ૨૯:૧-૧૯

2 કાળવ્રત્તાંત ૨૯:૧-૧૯

પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી.
તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા.
તેણે તેઓને કહ્યું, “લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો.
આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યાં છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા.
તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનીયાર્પણ કરવાનું બંધ કરી દીધું હતું.
તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરુશાલેમ ઉપર ઊતર્યો છે અને તેમણે તમે જુઓ છો તેમ, તેઓને આમતેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે.
આ કારણે આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.
૧૦
હવે મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે, કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઊતરી જાય.
૧૧
માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે.”
૧૨
પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆહ તથા યોઆનો પુત્ર એદેન;
૧૩
અલિસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઈએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;
૧૪
હેમાનના પુત્રોમાંના યહીએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.
૧૫
તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા.
૧૬
યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળાં આગળ બહાર લઈ ગયા.
૧૭
હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું.
૧૮
પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં.
૧૯
વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options