Skip to content
1 શમુએલ ૨૦:૧-૨૩

1 શમુએલ ૨૦:૧-૨૩

પછી દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, “મેં શું કર્યું છે? મારો અન્યાય શો છે? તારા પિતા આગળ મારું કયું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?”
યોનાથાને દાઉદને કહ્યું, “એ તારાથી દૂર થાઓ; તું માર્યો નહિ જાય. મારા પિતા મોટું કે નાનું કશું પણ મને જણાવ્યાં વગર કરતા નથી. આ વાત મારા પિતા મારાથી શા માટે છુપાવે? એવું તો ના હોય.”
દાઉદે ફરી સોગન ખાઈને કહ્યું કે,” તારો પિતા સારી પેઠે જાણે છે કે, હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું; માટે તે કહે છે કે, ‘યોનાથાન આ વાત ન જાણે, રખેને તેને દુઃખ થાય.’ પણ ખરેખર હું જીવતા ઈશ્વરના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, મારી તથા મરણની વચ્ચે ફક્ત એક પગલું જ દૂર રહ્યું છે.”
ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે,” જે કંઈ તું કહે, તે હું તારે માટે કરીશ.”
દાઉદે યોનાથાનને કહ્યું, “જો કાલે અમાસ છે, મારે રાજાની સાથે ભોજન પર બેસવા સિવાય ચાલે એમ નથી. પણ મને જવા દે, કે જેથી ત્રીજા દિવસની સાંજ સુધી હું ખેતરમાં સંતાઈ રહું.
જો તારો પિતા મને યાદ કરે તો તું કહેજે કે, દાઉદે પોતાના નગર બેથલેહેમમાં ઉતાવળે જઈ આવવાને આગ્રહથી મારી પાસે રજા માગી; કેમ કે ત્યાં આખા કુટુંબને માટે વાર્ષિક યજ્ઞ છે.’
જો તે કહે કે, ‘તે સારું છે,’ તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ઘણો ગુસ્સે થાય, તો જાણજે કે તેણે ખરાબ કામ કરવાનો નિશ્ચય કર્યો છે.
માટે તારા સેવક સાથે નમ્રતાથી વ્યવહાર કર. કેમ કે તેં તારા સેવકને તારી સાથે ઈશ્વરના કરારમાં લીધો છે. પણ જો મારામાં કંઈ પાપ હોય, તો તું મને મારી નાખ; મને તારા પિતા પાસે શા માટે લઈ જાય છે?”
યોનાથાને કહ્યું, “એ તારાથી દૂર થાઓ! જો એવું મારા જાણવામાં આવે કે, મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે તો શું તે હું તને ન કહું?”
૧૦
પછી દાઉદે યોનાથાનને કહ્યું, “જો કદાચ તારો પિતા તને કઠોર વચનોથી ઉત્તર આપશે તો તેની જાણ મને કોણ કરશે?”
૧૧
યોનાથાને દાઉદને કહ્યું, “આવ, આપણે બહાર ખેતરમાં જઈએ.” અને તેઓ બન્ને બહાર ખેતરમાં ગયા.
૧૨
યોનાથાને દાઉદને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરની સાક્ષી રાખીને. કાલે આટલા સમયે કે પરમ દિવસે મારા પિતાના મનને તપાસી જોઈને જો તારા હિતમાં સારું જણાશે, તો હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર આપીશ.
૧૩
જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તે જાણીને જો હું તને ખબર ના આપું અને તું શાંતિથી ચાલ્યો જાય માટે તને ખબર મોકલું નહિ, તો ઈશ્વર યોનાથાન ઉપર એવું તથા એથી પણ વધારે વિતાડે. જેમ ઈશ્વર મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.
૧૪
ફક્ત મારી જિંદગીભર મારા પર ઈશ્વરની કૃપા રાખીને તું મારું મોત ન લાવીશ, એટલું જ નહિ,
૧૫
પરંતુ મારા કુટુંબ પરથી તારા વિશ્વાસુપણાના કરારને સદાને માટે કાપી નાખીશ નહિ. જયારે ઈશ્વર દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.”
૧૬
તેથી યોનાથાને દાઉદના કુંટુબની સાથે કરાર કર્યો અને કહ્યું, “ઈશ્વર દાઉદના શત્રુઓની પાસેથી જવાબ માંગશે.”
૧૭
અને દાઉદ પર પોતાના પ્રેમની ખાતર યોનાથાને દાઉદને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે પોતાના જીવની જેમ તેના ઉપર પ્રીતિ કરતો હતો.
૧૮
પછી યોનાથાને તેને કહ્યું, “કાલે અમાસ છે. તારી ગેરહાજરી જણાશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.
૧૯
ત્યાં તું ત્રણ દિવસ રહ્યા પછી જલદીથી નીચે ઊતરીને, જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને, એઝેલ પથ્થર પાસે રહેજે.
૨૦
નિશાન તાકતો હોઉં એવો ડોળ દેખાડીને હું તે તરફ ત્રણ બાણો મારીશ.
૨૧
અને હું મારા જુવાન માણસને મોકલીને તેને કહીશ કે, ‘જા બાણો શોધી કાઢ.’ જો હું જુવાન છોકરાંને કહું કે, ‘જો, બાણો તારી તરફ છે; તો લઈને આવજે;” કેમ કે જીવતા ઈશ્વરના સમ કે, ત્યાં તું સલામત છે અને તને કોઈ મુશ્કેલી નથી.
૨૨
“પણ જો હું તે જુવાન માણસને કહું કે, ‘જો, બાણો તારી પેલી તરફ છે,’ તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે.
૨૩
જે કરાર વિષે તેં અને મેં વાત કરી છે, તેમાં જો, ઈશ્વર સદાકાળ સુધી તારી અને મારી વચ્ચે છે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options