Stars વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
¶ સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.
¶ તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી.
કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.
તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.
તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે.
જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.
તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ ઈશ્વરના પુત્રો આનંદથી પોકાર કર્યો?
આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.
મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.
આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ. સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.
આકાશના સર્વ તારાઓ ખરી પડશે, અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે.
વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”
તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા.
તેઓની આગળ ધરતી ધ્રુજે છે અને આકાશો થરથરે છે; સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે અને તારાઓ ઝાંખા પડી જાય છે.
સૂર્ય અને ચંદ્ર અંધારાય છે, અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!
તમે તમારા રાજા સિક્કૂથને અને તમારા તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે. આ મૂર્તિઓને તમે તમારે માટે જ બનાવી છે.
તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.
¶ તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે.