મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 30–62

The Early Church

Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.

1,007 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.

  2. ¶ પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.

  3. પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.

  4. ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.

  5. ¶ ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;

  6. આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.

  7. ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.

  8. ¶ અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;

  9. એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.

  10. ¶ ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.

  11. પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’

  12. ¶ એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.

  13. તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.

  14. યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’

  15. ¶ ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.

  16. કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.

  17. ¶ મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.

  18. તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.

  19. ¶ પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.

  20. અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.

  21. ¶ અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,

  22. ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.

  23. તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.

  24. એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.

  25. કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.