Skip to content

નહેમ્યા

નહેમ્યા રાજા પાસે પરવાનગી માંગે છે

આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીના વીસમા વર્ષે નીસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલાં તેની હજૂરમાં હું કદી ઉદાસ થયો નહોતો.
તેથી રાજાએ મને પૂછ્યું, “તું કેમ આવો ઉદાસ દેખાય છે? તું બીમાર તો લાગતો નથી. જરૂર તારા મનમાં કોઈ ભારે ખેદ હોવો જોઈએ.” આ સાંભળી હું બહુ ગભરાઈ ગયો.
મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું.”
પછી રાજાએ મને પૂછ્યું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી.
પછી મેં રાજાને કહ્યું, “આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો. કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા, તે શહેરનો હું ફરીથી જીર્ણોધ્ધાર કરી શકું.”
રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે અને તું ક્યારે પાછો આવશે?” મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! તેથી મને જવા માટે રજા મળી ગઈ!
પછી મેં રાજાને કહ્યું, “જો આપની ઇચ્છા હોય તો નદી પારના રાજકર્તાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે, હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને ત્યાં જતો અટકાવે નહિ.
વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ભક્તિસ્થાનના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે નગરના કોટને તથા જે ઘરમાં હું રહું તેને માટે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.

યરુશાલેમમાં આગમન અને પ્રારંભિક વિરોધ

હું નદી પારના રાજ્યપાલો પાસે આવ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. હવે રાજાએ તો મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા.
૧૦
જ્યારે હોરોનવાસી સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.

દીવાલોની ગુપ્ત તપાસ

૧૧
તેથી હું યરુશાલેમ આવ્યો અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.
૧૨
મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડા માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જાનવર પર હું સવારી કરતો હતો તે સિવાય બીજું કોઈ જાનવર મારી સાથે ન હતું.
૧૩
હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કૂંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો અને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા.
૧૪
પછી ત્યાંથી આગળ ચાલીને હું કચરાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. હું જે જાનવર પર સવારી કરતો હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી.
૧૫
તેથી હું રાત્રે નાળાં તરફ ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાં થઈને હું પાછો વળ્યો.
૧૬
હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યું હતું, તે અધિકારીઓનાં જાણવામાં આવ્યું નહિ. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને આ અંગે કશું પણ કહ્યું ન હતું.

દીવાલોનું પુનઃનિર્માણ

૧૭
મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજ્જડ થયેલું છે. તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદા કે ટીકારૂપ ન થઈએ.”
૧૮
મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિષે તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, “ઊઠો અને આપણે બાંધીએ.” તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.
૧૯
પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી ઉડાવી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”
૨૦
પછી મેં તેઓને જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશાલેમમાં નથી, એ સમજી લેજો.”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options