ઊત્પત્તિ ૪૨:૧૮-૨૮
૧૮
¶ ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.
૧૯
જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.
૨૦
તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ.” તેથી તેઓએ એમ જ કર્યું.
૨૧
¶ તેઓએ એકબીજાને કહ્યું, “નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”
૨૨
રુબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને કહ્યું ન હતું, ‘આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?’ પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે.”
૨૩
¶ તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી.
૨૪
યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
૨૫
¶ પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.
૨૬
¶ તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા.
૨૭
રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.
૨૮
તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”
Settings