Skip to content
2 કાળવ્રત્તાંત ૧૮:૧૨-૨૭

2 કાળવ્રત્તાંત ૧૮:૧૨-૨૭

૧૨
જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, “હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું.”
૧૩
મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ.”
૧૪
જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે.”
૧૫
પછી રાજાએ તેને કહ્યું, “ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?”
૧૬
તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, ‘એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.’”
૧૭
તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?”
૧૮
પછી મિખાયાએ કહ્યું, “તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.
૧૯
ઈશ્વરે કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું.
૨૦
પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ ઈશ્વરે તેને પૂછ્યું, ‘કેવી રીતે?’
૨૧
આત્માએ જવાબ આપ્યો, ‘ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.’ ઈશ્વરે જવાબ આપ્યો, ‘તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.’”
૨૨
હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે.”
૨૩
ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, “ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?”
૨૪
મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.”
૨૫
ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ.
૨૬
તમે તેમને કહેજો કે, ‘રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.’”
૨૭
પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું.” વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સાંભળો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options