Jabesh-Gilead વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ તેઓએ કહ્યું, “ઇઝરાયલનાં કુળોમાંથી કયું કુળ મિસ્પામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું ન હતું?” એવું જાણવા મળ્યું છે કે યાબેશ ગિલ્યાદથી સભામાં ભાગ લેવા કોઈ આવ્યું ન હતું.
કેમ કે જયારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહિ.
સભામાંથી બાર હજાર શૂરવીર પુરુષોને એવી સૂચના આપીને મોકલવામાં આવ્યા કે યાબેશ ગિલ્યાદ જઈને ત્યાંના રહેવાસીઓનો, સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધાં તલવારથી સંહાર કરો.
¶ “વળી તમારે આ પ્રમાણે કરવું: દરેક પુરુષને તથા દરેક સ્ત્રીને કે જેણે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેઓને મારી નાખો.”
અને યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંથી તેઓને ચારસો જુવાન કુમારિકાઓ મળી આવી કે જેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે સંસર્ગ કર્યો નહોતો, તેઓ તેમને કનાન દેશના શીલો પાસેની છાવણીમાં લાવ્યા.
¶ સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનના લોકોને સંદેશો મોકલીને શાંતિ તથા સમાધાનની જાહેરાત કરી.
તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેશ ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી.
બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયલનાં કુળો વચ્ચે ભાગલા પાડયા હતા.
¶ ત્યાર પછી નાહાશ આમ્મોની ગયો અને યાબેશ ગિલ્યાદને ઘેરી લીધું. યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે સુલેહ કર અને અમે તારી તાબેદારી સ્વીકારીશું.”
નાહાશ આમ્મોનીએ જવાબ આપ્યો, “એક શરતથી હું તમારી સાથે સુલેહ કરીશ કે, તમારા બધાની જમણી આંખો ફોડી નાખવામાં આવે, એ રીતે સર્વ ઇઝરાયલીઓ પર કલંક લગાડું.”
¶ પછી યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને માત્ર સાત દિવસ આપ, કે જેથી અમે ઇઝરાયલના સર્વ પ્રદેશમાં સંદેશાવાહકો મોકલીએ. પછી, ત્યાં જો કોઈ અમારો બચાવ કરનાર નહિ હોય, તો અમે તને સોંપાઈ જઈશું.”
¶ સંદેશાવાહકો શાઉલના નગર ગિબયામાં આવ્યા અને લોકોના સાંભળતાં એ શબ્દો કહ્યા. તે સાથે સર્વ લોકો ઊંચા અવાજથી રડવા લાગ્યા.
શાઉલ ખેતરમાંથી બળદોની પાછળ આવ્યો. શાઉલે કહ્યું, “લોકોની સાથે શું ખોટું બન્યું છે કે તેઓ રડે છે?” તેઓએ શાઉલને યાબેશના માણસોએ જે ધમકીનાં વચનો કહ્યા હતાં તે કહી સંભળાવ્યાં.
¶ તેઓએ જે કહ્યું તે જયારે શાઉલે સાંભળ્યું, ત્યારે ઈશ્વરનો આત્મા સામર્થ્ય સહિત તેના પર આવ્યો અને તે ઘણો ક્રોધાયમાન થયો.
તેણે બળદની એક જોડ લઈને તેને કાપીને ટુકડાં કર્યા અને તેઓને સંદેશાવાહકો દ્વારા ઇઝરાયલના સર્વ પ્રદેશોમાં મોકલી આપ્યાં. તેણે કહ્યું, “જે કોઈ શાઉલની પાછળ તથા શમુએલની પાછળ આવશે નહિ તો તેના બળદોના હાલ આવા કરવામાં આવશે.” પછી લોકોને ઈશ્વરનો ભય લાગ્યો અને તેઓ એકમતે નીકળી આવ્યા.
જયારે તે બેઝેકમાં તેઓની ગણતરી કરવા લાગ્યો, ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ અને યહૂદિયાના માણસો ત્રીસ હજાર થયા.
¶ જે સંદેશાવાહકો આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું, “તમે યાબેશ ગિલ્યાદના માણસોને એવું કહેજો, ‘કાલે, સૂર્યનો તાપ ચઢશે તે સમયે, તમારો બચાવ થશે.” તેથી સંદેશાવાહકોએ જઈને યાબેશના માણસોને કહ્યું અને તેઓ આનંદ પામ્યા.
પછી યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “કાલે અમે તમારે શરણે આવીશું અને તમારી દ્રષ્ટિમાં જે સારું દેખાય તે સર્વ તમે અમને કરજો.”
¶ બીજે દિવસે શાઉલે લોકોનાં ત્રણ જૂથ પાડ્યાં. સવારના સમયે તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા, તેઓએ આમ્મોનીઓ પર હુમલો કરીને તડકો ચઢતાં સુધી તેઓને પરાજિત કર્યા. જેઓ બચી રહ્યા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ જગ્યાએ તેઓમાંના બે એકસાથે ભેગા થઈ શકે નહિ.
¶ પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે જયારે યાબેશ ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું,
ત્યારે સઘળા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા અને બેથ-શાનના કોટ પરથી શાઉલના મૃતદેહને તથા તેના દીકરાઓના મૃતદેહને તેઓ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં તેઓએ તેને અગ્નિદાહ દીધો.
પછી તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશ નગરમાંના એશેલ વૃક્ષ નીચે દફનાવ્યાં અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
¶ તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.
દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.
¶ અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.