Skip to content

1 રાજઓ૧૭

એલિયા આહાબને દુષ્કાળની આગાહી કરે છે

બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”

કરીથના નાળે એલિયા

ત્યાર બાદ એલિયા પાસે યહોવાહનું એવું વચન આવ્યું કે,
“આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીંથના નાળાં પાસે સંતાઈ રહે.
એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે.”
તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો.
કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.
પણ થોડા સમય પછી, નાળાનું પાણી સુકાઈ ગયું. કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો.

સારફાથની વિધવા એલિયાનું ભરણપોષણ કરે છે

પછી યહોવાહનું વચન એલિયા પાસે આવ્યું કે,
“તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”
૧૦
તેથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા સારુ તું મને કૂજામાં થોડું પાણી લાવી આપ.”
૧૧
તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે.”
૧૨
પણ તે વિધવાએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ.”
૧૩
એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે.
૧૪
કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’”
૧૫
આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું.
૧૬
યહોવાહ પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.

વિધવાનો પુત્ર સજીવન થાય છે

૧૭
ત્યાર બાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો.
૧૮
તેથી તેની માતાએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત તારે મારી વિરુદ્ધ શું છે? તું મારાં પાપનું સ્મરણ કરાવવાં તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે!”
૧૯
પછી એલિયાએ તેને જવાબ આપ્યો, “તારો દીકરો મને આપ.” તેણે તે છોકરાંને તેની માતાની ગોદમાંથી લીધો. અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો.
૨૦
તેણે યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું, “હે મારા ઈશ્વર યહોવાહ, જે વિધવાને ત્યાં હું રહું છું, તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું?”
૨૧
પછી એલિયાએ તે છોકરા પર સૂઈ જઈને ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે, “ઓ મારા ઈશ્વર યહોવાહ, હું તમને વિનંતિ કરું છું, કૃપા કરી આ બાળકનો જીવ તેનામાં પાછો આવવા દો.”
૨૨
યહોવાહે એલિયાની વિનંતિ સાંભળી; તે બાળકનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે સજીવન થયો.
૨૩
એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો; તે છોકરાંને તેની માતાને સોંપીને બોલ્યો કે, “જો, તારો દીકરો જીવતો છે.”
૨૪
તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે અને તારા મુખમાં યહોવાહનું જે વચન છે તે સત્ય છે.”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options