માથ્થી ૨૫:૧-૩૦
૧
¶ તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.
૨
તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી.
૩
મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ;
૪
પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
૫
¶ વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ.
૬
મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”
૭
¶ ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી.
૮
મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’
૯
પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”
૧૦
¶ તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું.
૧૧
પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’
૧૨
પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’
૧૩
માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
૧૪
¶ કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી.
૧૫
એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.
૧૬
પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.
૧૭
¶ તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.
૧૮
પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.
૧૯
¶ હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો.
૨૦
ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’
૨૧
ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”
૨૨
¶ જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’
૨૩
તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”
૨૪
¶ પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે.
૨૫
માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું. જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે.
૨૬
¶ તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;
૨૭
તો તારે મારાં નાણાં શાહુકારોને આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.
૨૮
¶ એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો.
૨૯
કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે.
૩૦
તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.’”
Settings