ન્યાયાધીશો ૬:૧૧-૪૦
૧૧
¶ પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો.
૧૨
ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!”
૧૩
¶ ગિદિયોને તેને કહ્યું, “મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું ‘શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?’ તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”
૧૪
¶ ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?”
૧૫
ગિદિયોને તેને કહ્યું, “કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું.”
૧૬
¶ ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે.”
૧૭
ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો.
૧૮
જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ.” ઈશ્વરે કહ્યું, “જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.”
૧૯
¶ ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા.
૨૦
ઈશ્વરના દૂતે તેને કહ્યું, “માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે.” ગિદિયોને એ મુજબ કર્યું.
૨૧
¶ ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ.
૨૨
¶ ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!”
૨૩
ઈશ્વરે તેને કહ્યું, “તને શાંતિ હો! ગભરાઈશ નહિ, તું મૃત્યુ પામશે નહિ.”
૨૪
તેથી ગિદિયોને ઈશ્વરને સારુ ત્યાં એક વેદી બનાવી. તેનું નામ ઈશ્વર-શાલોમ પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.
૨૫
¶ તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, “તારા પિતાનો બળદ તથા બીજો સાત વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બઆલની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તે તોડી પાડ, તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ.
૨૬
તું પ્રભુ તારા ઈશ્વરને માટે આ જગ્યાના શિખર પર યોગ્ય બાંધકામ કરીને યજ્ઞવેદી બનાવ. જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો શ્રેષ્ઠ બળદ લઈને તેનું દહનીયાર્પણ કર.”
૨૭
¶ તેથી ગિદિયોને પોતાના દસ સેવકોને લઈને, ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવદી બનાવી.
૨૮
¶ સવારમાં જયારે નગરના પુરુષો ઊઠ્યા ત્યારે તેઓએ જોયું કે, બઆલની યજ્ઞવેદી તોડી પાડેલી હતી તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નાખેલી હતી તથા બાંધેલી નવી યજ્ઞવેદી પર બીજા શ્રેષ્ઠ બળદનું દહનીયાપર્ણ કરેલું હતું.
૨૯
નગરના પુરુષોએ એકબીજાને કહ્યું, “આ કામ કોણે કર્યું છે?” પછી તપાસ કરીને તેઓએ કહ્યું, “યોઆશના દીકરા ગિદિયોને આ કૃત્ય કર્યું છે.”
૩૦
¶ ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, “તારા દીકરાને બહાર લાવ કે જેથી તે માર્યો જાય, કેમ કે તેણે બઆલની યજ્ઞવેદી તોડી પાડી છે અને અશેરા મૂર્તિ કાપી નાખી છે.”
૩૧
¶ યોઆશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બઆલના પક્ષમાં બોલશો? કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતાં પહેલાં માર્યો જાય; જો બાલ દેવ હોય તો તે પોતે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે.”
૩૨
તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ “યરુબાલ” પાડીને કહ્યું, “બઆલ તેની સામે વિવાદ કરે,” કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.
૩૩
¶ ત્યારે સર્વ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. તેઓએ પેલે પાર જઈને યિઝ્રએલની ખીણમાં છાવણી કરી.
૩૪
¶ પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો તેણે રણશિગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા.
૩૫
તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા.
૩૬
¶ ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય,
૩૭
તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.”
૩૮
¶ બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
૩૯
¶ પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.”
૪૦
તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.
Settings