Skip to content
યશાયા ૩૫:૧-૧૦

યશાયા ૩૫:૧-૧૦

અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે.
તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”
ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે.
ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે.
દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ.
ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.
૧૦
યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options