ઊત્પત્તિ ૩૩:૧-૧૭
૧
¶ યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.
૨
પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં.
૩
તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.
૪
¶ એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.
૫
જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, “તારી સાથે આ કોણ છે?” યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે.”
૬
¶ પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
૭
પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
૮
એસાવે કહ્યું, “આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?” યાકૂબે કહ્યું, “મારા માલિકની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે.”
૯
¶ એસાવ બોલ્યો, “મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ.”
૧૦
યાકૂબે કહ્યું, “એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે.
૧૧
મારી જે ભેંટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે.” યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.
૧૨
¶ પછી એસાવે કહ્યું, “ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ.”
૧૩
યાકૂબે તેને કહ્યું, “મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.
૧૪
માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”
૧૫
¶ એસાવે કહ્યું, “મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું.” પણ યાકૂબે કહ્યું, “શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે.”
૧૬
તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
૧૭
સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.
Settings