Skip to content
દારિયેલ ૯:૧-૧૯

દારિયેલ ૯:૧-૧૯

માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો.
તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, ‘યહોવાહનું વચન જે યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી’ તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.
મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો.
અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.
અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી.
હે પ્રભુ, ન્યાયીપણું તમારું છે. પણ આજની મુખ પરની શરમ તો અમારી છે. યહૂદિયાના માણસોની, યરુશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે.
હે યહોવાહ, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે. કેમ કે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.
૧૦
યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમે માની નથી તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.
૧૧
સર્વ ઇઝરાયલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યુ છે.
૧૨
અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.
૧૩
મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.
૧૪
માટે યહોવાહ અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવાહ અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે, અમે તેમની વાણી માની નથી.
૧૫
હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.
૧૬
હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.
૧૭
હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,
૧૮
હે મારા ઈશ્વર, કાન દઈને અમારી વિનંતી સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ.
૧૯
હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options