પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૨૮-૪૮
૨૮
તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહિ.
૨૯
તેથી જ જ્યારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો; માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને બોલાવ્યો છે?
૩૦
¶ કર્નેલ્યસે કહ્યું કે, ચાર દિવસ પહેલાં હું આ જ સમયે મારા ઘરમાં બપોરના ત્રણ કલાકે પ્રાર્થના કરતો હતો; ત્યારે જુઓ, તેજસ્વી પોશાક પહેરેલા એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો;
૩૧
તે બોલ્યો કે, કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.
૩૨
માટે તું માણસને જોપ્પામાં મોકલીને સિમોન, જેનું બીજુ નામ પિતર છે, તેને તારી પાસે બોલાવ; તે સમુદ્રના કિનારે સિમોન ચમારના નિવાસસ્થાને અતિથિ છે.
૩૩
માટે મેં તરત તને બોલાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે, તે સર્વ સાંભળવા સારુ અમે સઘળા અહીં ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થયા છીએ.
૩૪
¶ ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે. હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;
૩૫
¶ પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે, અને ન્યાયીપણે વર્તે છે, તેઓ તેમને માન્ય છે.
૩૬
¶ ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયલપુત્રોની પાસે જે વાત મોકલી,
૩૭
એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી શરૂ કરીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો;
૩૮
એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
૩૯
¶ તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કાર્યો કર્યા તે સર્વના અમે સાક્ષી છીએ; વળી તેમને તેઓએ વધસ્તંભ પર જડીને મારી નાખ્યા.
૪૦
તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા, અને સર્વ લોકોની આગળ નહિ,
૪૧
પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા.
૪૨
¶ તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વર એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ નીમ્યા છે.
૪૩
તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.
૪૪
¶ પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.
૪૫
ત્યારે બિનયહૂદીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની સાથે આવ્યા હતા તે સર્વ વિસ્મય પામ્યા.
૪૬
¶ કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા, તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યાં. ત્યારે પિતરે ઉત્તર આપ્યો કે,
૪૭
“આપણી માફક તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને પાણીનું બાપ્તિસ્મા આપવાને કોણ મના કરી શકે?”
૪૮
તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી, પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી.
Settings