Skip to content
2 શમુએલ ૨૪:૧૬-૨૫

2 શમુએલ ૨૪:૧૬-૨૫

૧૬
દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “હવે બસ! તારો હાથ પાછો લે.” તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો.
૧૭
અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, “જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ.”
૧૮
તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું, “જા અરાવ્નાહ યબૂસીની ખળીમાં ઈશ્વરને માટે વેદી બાંધ.”
૧૯
માટે ગાદના કહેવા પ્રમાણે, ઈશ્વરે આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો.
૨૦
અરાવ્નાહે બહાર નજર કરી, તો તેણે રાજાને તથા તેના ચાકરોને પોતાની નજીક આવતા જોયા. માટે અરાવ્નાહ તેઓની સામે ગયો. તેણે રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
૨૧
પછી અરાવ્નાહે કહ્યું, “મારો માલિક રાજા પોતાના ચાકરની પાસે કેમ આવ્યો છે?” દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે ઈશ્વરને સારુ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું.
૨૨
અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, ખળી તારી પોતાની છે એમ સમજીને લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો, અહીં દહનીયાર્પણને માટે બળદો અને લાકડાને માટે ખળીના ઓજારો તથા બળદોનો સામાન છે.
૨૩
હે મારા રાજા, હું અરાવ્નાહ આ બધું તને આપું છું.” પછી અરાવ્નાહે રાજાને કહ્યું, “તારા પ્રભુ ઈશ્વર તને માન્ય કરો.”
૨૪
રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ 575 ગ્રામ ચાંદી આપીને ખળી તથા બળદોને ખરીદી લીધા.
૨૫
દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options