Skip to content

માથ્થી૧૭

છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા.
તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”
તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.”
શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.”
તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.
જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.”
૧૦
તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”
૧૧
ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે.
૧૨
પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.”
૧૩
ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
૧૪
જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,
૧૫
“ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.
૧૬
તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”
૧૭
ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.”
૧૮
પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
૧૯
પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”
૨૦
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.
૨૧
(પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”)
૨૨
જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
૨૩
તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યો બહુ દિલગીર થયા.
૨૪
પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?”
૨૫
પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”
૨૬
પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે.
૨૭
રખેને આપણે તેઓનું અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options