મુખ્ય સામગ્રી પર જાઓ

યર્મિયા૩૦

સાંત્વનાના ગ્રંથને લખવાની આજ્ઞા

યહોવાહ તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે,
યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘મેં તને જે જે કહ્યું છે તે બધું એક પુસ્તકમાં લખી લે.
માટે જુઓ, જો એવો સમય આવી રહ્યો છે કે, ‘જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ અને યહૂદિયાનો બંદીવાસ ફેરવી નાખીશ. તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનું વતન પ્રાપ્ત કરશે. એવું યહોવાહ કહે છે.”
જે વચનો યહોવાહ ઇઝરાયલ અને યહૂદિયાના લોક વિષે કહે છે તે આ છે;

યાકૂબના સંકટનો સમય

“તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે તે શાંતિનો નહિ પણ ભયનો અવાજ છે.
તમારી જાતને પૂછો કે શું કોઈ પુરુષને પ્રસવવેદના થાય? પ્રસૂતાની જેમ દરેક પુરુષને પોતાના હાથથી કમરે દાબતો મેં જોયો છે, એનું કારણ શું હશે? વળી બધાના ચહેરા કેમ ફિક્કા પડી ગયા છે?
અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, તે તો યાકૂબના સંકટનો દિવસ છે. પણ તે તેમાંથી બચશે.

છુટકારાનું વચન અને દાઉદી રાજા

સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. પરદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.
તેઓ પોતાના ઈશ્વર યહોવાહની સેવા કરશે. અને તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને રાજા બનાવનાર છું. તેની સેવા તેઓ કરશે.
૧૦
તેથી તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. એમ યહોવાહ કહે છે. હે ઇઝરાયલ તારે ભય રાખવાની જરૂર નથી. માટે જુઓ, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. યાકૂબ પાછો આવશે અને શાંતિપૂર્વક રહેવા પામશે; તે સુરક્ષિત હશે અને કોઈ તમને ડરાવશે નહિ,
૧૧
કેમ કે યહોવાહ કહે છે હું તમને બચાવવા સારુ તમારી સાથે છું’ અને તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા છે તે લોકોનો પણ હું સંપૂર્ણ રીતે વિનાશ કરીશ. તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને ન્યાયની રૂએ શિક્ષા કરીશ અને નિશ્ચે તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.’

અસાધ્ય ઘા અને દૈવી સાજાપણું

૧૨
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘તારો ઘા રૂઝાય એવો નથી; તારો ઘા જીવલેણ છે.
૧૩
તમારા પક્ષમાં બોલવાવાળું અહીં કોઈ નથી; તમારા ઘાને સાજો કરવાનો કોઈ ઇલાજ નથી.
૧૪
તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે. તેઓ તને શોધતા નથી. કેમ કે મેં તને શત્રુની જેમ ઘાયલ કર્યો છે. હા, નિર્દય માણસની જેમ મેં તને ઈજા પહોંચાડી છે. કેમ કે તારાં પાપ ઘણાં થવાને લીધે અને તારા અપરાધ વધી ગયા છે.
૧૫
તારા ઘાને લીધે તું કેમ બૂમો પાડે છે? તારા ઘાનો કોઈ ઇલાજ નથી. તારા અપરાધો ઘણા થવાને લીધે તારા અપરાધો વધી ગયા જેને લીધે આ શિક્ષા કરવાની મને ફરજ પડી.
૧૬
જેથી જેઓ તને ખાઈ જાય છે. તે સર્વને ખાઈ જવામાં આવશે. તારા બધા શત્રુઓ બંદીવાસમાં જશે. તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે, તને લૂંટનારાઓ જ લૂંટાઈ જશે.
૧૭
કેમ કે હું તને આરોગ્ય આપીશ; અને ‘તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવાહ કહે છે. ‘કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે. વળી સિયોનની કોઈને ચિંતા નથી.”

દેશ અને પ્રજાનું પુનઃસ્થાપન

૧૮
યહોવાહ કહે છે; “જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.
૧૯
અને તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો અવાજ સંભળાશે. હું તેઓની વૃદ્ધિ કરીશ તેઓ ઓછા થશે નહિ; અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ.
૨૦
તેઓના લોકો પાછા પહેલાંના જેવા થશે; તેઓની સભા મારી નજર સમક્ષ સ્થાપિત થશે, અને જેઓ તેમનો ઉપદ્રવ કરે છે તેમને હું સજા કરીશ.
૨૧
તેઓનો આગેવાન તેઓના પોતાનામાંથી જ થશે, તેઓમાંથી તેઓનો અધિકારી થશે જ્યારે હું તેને મારી પાસે લાવું ત્યારે તેઓ મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવાની જેણે હિંમત ધરી છે તે કોણ છે?” એમ યહોવાહ કહે છે.
૨૨
પછી તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.

દુષ્ટો પર અંતિમ ન્યાય

૨૩
જુઓ યહોવાહનો ક્રોધ, તેમનો રોષ પ્રગટ્યો છે. તેમનો કોપ સળગી રહ્યો છે. વંટોળની માફક તે દુષ્ટોના માથે આવી પડશે.
૨૪
યહોવાહની યોજના અમલમાં આવે છે. તેઓ સિદ્ધ કરે નહિ ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, ભવિષ્યમાં તે તમને સમજાશે.”
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options