મુખ્ય સામગ્રી પર જાઓ

યર્મિયા

પ્રબોધક અને તેમના સેવાકાળનો સમય

હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;
યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું,
યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.

યર્મિયાને તેડું

યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે;
“ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો; અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.”
“મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”
પરંતુ યહોવાહે મને કહ્યું કે, “હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા. અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.
તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.”
પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
૧૦
ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ, મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.”

આવનારા ન્યાયનાં બે દર્શનો

૧૧
પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.”
૧૨
ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.”
૧૩
બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”
૧૪
યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે.
૧૫
કેમ કે યહોવાહ કહે છે, જો, હું ઉત્તરનાં સર્વ કુળોને બોલાવીશ તેઓ આવશે, પછી યરુશાલેમની ભાગળો પાસે તથા આસપાસ તેના સર્વ કોટની સામે, તેમ જ યહૂદિયાનાં બધાં નગરોની સામે તેઓ પોતપોતાનું સિંહાસન ઊભું કરશે.
૧૬
જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.

આદેશ અને રક્ષણનું વચન

૧૭
તેથી તું તારી કમર બાંધીને ઊઠ. અને જે કંઈ હું તને ફરમાવુ તે તું તેઓને કહે. તેઓથી તું ગભરાઈશ નહિ, રખેને હું તને તેઓની આગળ ભયગ્રસ્ત કરું.
૧૮
અને જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના અધિકારીઓની સામે, તેના યાજકોની સામે તથા દેશના સર્વ રહેવાસીઓની સામે મેં આજે તને કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને પિત્તળના કોટ જેવો કર્યો છે.
૧૯
તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options