મુખ્ય સામગ્રી પર જાઓ

1 થેસ્સલોનિકીઓને

તેમનો વિશ્વાસ મજબૂત કરવા પાઉલ તિમોથીને મોકલે છે

માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું.
અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો.
કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહિ. તમે પોતે જાણો છો કે તેને સારુ આપણે નિર્મિત થયેલા છીએ.
જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો.
એ કારણને લીધે જયારે મારાથી વધારે સહન કરી શકાયું નહિ ત્યારે મેં તમારો વિશ્વાસ જાણવા સારુ તિમોથીને મોકલ્યો; એમ ન થાય કે શેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય ને અમારી મહેનત નકામી ગઈ હોય!

તિમોથીના સારા અહેવાલથી આનંદ

પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઇચ્છા રાખો છો, ને સદા અમને યાદ કરો છો.
એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા.
તમે પ્રભુમાં સ્થિર છો તેથી અમને નિરાંત છે.
કેમ કે જે સંપૂર્ણ આનંદથી અમે ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની ઘણી જ આભારસ્તુતિ કરીએ છીએ!
૧૦
અમે રાતદિવસ ઘણી પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને રૂબરૂમાં જોઈએ, અને તમારા વિશ્વાસમાં ઉણપ હોય તો તે દૂર કરીને સંપૂર્ણ કરીએ.

તેમના પવિત્રીકરણ માટે પ્રાર્થના

૧૧
હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવવાનો અમારો રસ્તો સરળ કરે એવી પ્રાર્થના છે.
૧૨
જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પરસ્પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વધારો કરો;
૧૩
એ સારુ કે જયારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વરપિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options