Skip to content

1 કરિંથીઓને

ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ સાંસારિકોની સાથે, એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી.
મેં તમને દૂધથી પોષ્યા છે, ભારે ખોરાકથી નહિ; કેમ કે તમે ભારે ખોરાક ખાવાને સમર્થ ન હતા, અને હમણાં પણ સમર્થ નથી.
કેમ કે તમે હજી સાંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ તથા ઝઘડા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની માફક વર્તતા નથી?
કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, ‘હું પાઉલનો છું,’ અને બીજો કહે છે કે ‘હું આપોલસનો છું,’ ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી?
તો આપોલસ કોણ છે? અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવાકાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓનાં દ્વારા તમે વિશ્વાસ કર્યો.
મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી.
માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે.
રોપનાર તથા સિંચનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.
કેમ કે અમે ઈશ્વર ના સેવકો તરીકે સાથે કામ કરનારા છીએ; તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઇમારત છો.
૧૦
ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે; અને તેના પર કોઈ બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું.
૧૧
કેમ કે જે નંખાયેલો પાયો છે તે તો ઈસુ ખ્રિસ્ત છે. તેમના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.
૧૨
પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે,
૧૩
તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.
૧૪
જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે.
૧૫
જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.
૧૬
તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા?
૧૭
જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.
૧૮
કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે.
૧૯
કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.
૨૦
અને વળી, પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે.
૨૧
તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.
૨૨
પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે;
૨૩
તમે ખ્રિસ્તનાં છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options