યહોશુઆ ૨૨:૨૧-૨૯
૨૧
¶ ત્યારે રુબેનના કુળે, ગાદના કુળે તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના કુટુંબનાં આગેવાનોને જવાબ આપતા કહ્યું:
૨૨
“પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! પરાક્રમી, ઈશ્વર, યહોવાહ! એ જાણે છે. અને ઇઝરાયલ પોતે પણ જાણશે કે યહોવાહની વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહિ,
૨૩
જો અમે યહોવાહનાં અનુસરણથી પાછા ફરી જવા સારુ વેદી બાંધી હોય અને જો તે પર દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે શાંત્યર્પણના યજ્ઞો કરવા સારુ બાંધી હોય, તો યહોવાહ પોતે અમારી પાસેથી તેનો જવાબ માગો.
૨૪
¶ અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયલના પ્રભુ, યહોવાહ સાથે તમારો શો લાગભાગ છે?
૨૫
¶ કેમ કે યહોવાહે યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રુબેનના લોકો અને ગાદના લોકો તમારે યહોવાહ સાથે કશો લાગભાગ નથી.’ એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાહની આરાધના કરતાં અટકાવે.
૨૬
¶ માટે અમે કહ્યું કે હવે આપણે વેદી બાંધીએ તે દહનીયાર્પણને સારુ નહિ કે કોઈ બલિદાનને સારુ નહિ,
૨૭
પણ અમારી તથા તમારી વચ્ચે અને આપણી પાછળ આપણા સંતાનો વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે અમારાં દહનીયાર્પણોથી, બલિદાનોથી અને શાંત્યર્પણથી યહોવાહની સેવા કરવાનો અમને પણ હક છે, કે જેથી ભવિષ્યમાં તમારા સંતાનો અમારા સંતાનોને એવું ન કહે કે, “તમને યહોવાહની સાથે કશો લાગભાગ નથી.’”
૨૮
¶ માટે અમે કહ્યું, ‘જો આ તેઓ ભવિષ્યમાં અમને કે અમારા વંશજોને એમ કહે, ત્યારે અમે એવું કહીશું કે, “જુઓ! આ યહોવાહની વેદીનો નમૂનો! તે અમારા પૂર્વજોએ સ્થાપી છે. તે દહનીયાર્પણ કે બલિદાનને સારુ નહિ પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા માટે છે.”
૨૯
અમારા પ્રભુ યહોવાહનાં મંડપની સામે તેમની જે વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણની વેદી, ખાદ્યાર્પણને સારુ કે બલિદાનને સારુ બીજી કોઈ વેદી બાંધીને યહોવાહનો દ્રોહ કરીએ તથા યહોવાહનાં અનુસરણથી પાછા વળી જઈએ, એવું અમારાથી કદી ન થાઓ.’”
Settings