Skip to content
ઊત્પત્તિ ૩૦:૧-૨૪

ઊત્પત્તિ ૩૦:૧-૨૪

જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, “મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ.”
યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?”
તેણે કહ્યું, “તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું.”
તેણે પત્ની તરીકે તેની દાસી બિલ્હા યાકૂબને આપી અને યાકૂબે તેની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખ્યો.
બિલ્હા ગર્ભવતી થઈ. તેણે યાકૂબના દીકરાને જન્મ આપ્યો.
પછી રાહેલે કહ્યું, “ઈશ્વરે મારું સાંભળ્યું છે. તેમણે નિશ્ચે મારી વિનંતી સાંભળીને મને દીકરો આપ્યો છે.” તે માટે તેણે તેનું નામ ‘દાન’ પાડ્યું.
રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો.
રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું.” તેણે તેનું નામ ‘નફતાલી’ પાડ્યું.
જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી.
૧૦
લેઆની દાસી ઝિલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો.
૧૧
લેઆએ કહ્યું, “આના પર ઈશ્વરની દયા છે!” તેથી તેણે તેનું નામ ‘ગાદ’ પાડ્યું.
૧૨
પછી લેઆની દાસી ઝિલ્પાને યાકૂબથી બીજો દીકરો જન્મ્યો.
૧૩
લેઆએ કહ્યું, “હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે.” તેથી તેણે તેનું નામ ‘આશેર’ એટલે આશિષીત પાડ્યું.
૧૪
રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, “તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ.”
૧૫
લેઆએ તેને કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, એ શું ઓછું છે? તો હવે મારા દીકરાનાં રીંગણાં પણ તારે લેવાં છે? “રાહેલે કહ્યું, “તારા દીકરાનાં રીંગણાં બદલે આજ રાત્રે યાકૂબ તારી સાથે સહશયન કરશે.”
૧૬
સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો. લેઆ તેને મળવાને બહાર ગઈ અને કહ્યું, “આજે રાત્રે તારે મારી સાથે સહશયન કરવાનું છે. કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં આ શરત કરી છે.” માટે તે રાત્રે યાકૂબ તેની સાથે સૂઈ ગયો.
૧૭
ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો.
૧૮
લેઆએ કહ્યું, “ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી હતી.” તેણે તેનું નામ ‘ઇસ્સાખાર’ પાડ્યું.
૧૯
લેઆ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના છઠ્ઠા દીકરાને જન્મ આપ્યો.
૨૦
લેઆએ કહ્યું, “ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. “માટે તેણે તેનું નામ ઝબુલોન પાડ્યું.
૨૧
ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો અને તેણીએ તેનું નામ દીના પાડ્યું.
૨૨
ઈશ્વરે રાહેલને યાદ કરીને તેની પ્રાર્થના સાંભળી. તેને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો.
૨૩
તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરે મારી શરમ દૂર કરી છે”
૨૪
તેણે તેનું નામ ‘યૂસફ’ પાડીને કહ્યું, “ઈશ્વર એક બીજો દીકરો પણ મને આપો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options