Skip to content
એઝરા ૧૦:૧-૧૭

એઝરા ૧૦:૧-૧૭

એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા.
ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.
હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.
ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો.”
ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને સમ ખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગન લીધા.
ત્યાર બાદ એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદિયામાં, યરુશાલેમમાં સર્વ બંદીવાનોને યરુશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું.
એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે.”
આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
૧૦
પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.
૧૧
માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ.”
૧૨
ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, “નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ.
૧૩
પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
૧૪
દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય.”
૧૫
કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બથાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો.
૧૬
તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ પિતૃઓના વંશજોના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી
૧૭
પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options