Skip to content
એસ્તેર ૯:૧-૧૭

એસ્તેર ૯:૧-૧૭

હવે બારમા મહિને એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવાની આશા હતી. પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી.
તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહિ કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો.
અને પ્રાંતોના બધા અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓએ યહૂદીઓને મદદ કરી; કારણ કે તેઓ બધા હવે મોર્દખાયથી બીતા હતા.
મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યુ.
સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો.
વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,
પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને,
પાર્માશતાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને,
૧૦
એટલે યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનનો દસે પુત્રોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
૧૧
સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી.
૧૨
રાજાએ એસ્તેર રાણીને કહ્યું, “સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દસ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે? હવે તારી શી અરજ છે? તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? તે પણ મંજૂર થશે.”
૧૩
ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, “જો રાજા આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ અને હામાનના દસે પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ.”
૧૪
રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સૂસામાં એવો હુકમ જાહેર કરવામાં આવ્યો. અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી પર લટકાવ્યા.
૧૫
સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
૧૬
રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ભેગા થયા. પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાળ્યું. તેઓએ પંચોતેર હજારને મારી નાખ્યા. પણ લૂંટફાટ ચલાવી નહિ.
૧૭
અદાર મહિનાના તેરમા દિવસે એવું બન્યું: ચૌદમે દિવસે તેઓએ વિશ્રાંતી લીધી. અને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options