Skip to content
1 રાજઓ ૬:૧૫-૩૫

અંદરના કામ અને ગર્ભગૃહ

1 રાજઓ ૬:૧૫-૩૫
૧૫
પછી તેણે સભાસ્થાનની અંદરની દીવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દીવાલો ઉપર અંદરની બાજુએ લાકડાંનું અસ્તર કર્યું; તેણે સભાસ્થાનનું ભોંયતળિયુ દેવદારનાં પાટિયાનું બનાવ્યું.
૧૬
સભાસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી.
૧૭
મુખ્ય સભાખંડ એટલે પરમપવિત્રસ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ ચાલીસ હાથ હતી.
૧૮
ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.
૧૯
સુલેમાને યહોવાહનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમપવિત્રસ્થાન બનાવ્યું.
૨૦
પરમપવિત્રસ્થાનની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ વિસ હાથ હતી. તેણે તેની દીવાલોને શુદ્વ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી.
૨૧
પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.
૨૨
આમ, સુલેમાને સભાસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમપવિત્રસ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી.
૨૩
સુલેમાને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનનાં લાકડામાંથી બનાવેલા બે કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ દસ હાથ હતી.
૨૪
દરેક કરુબને બે પાંખ હતી અને તે દરેક પાંખની લંબાઈ પાંચ હાથ હતી; દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર દસ હાથ હતું.
૨૫
બીજા કરુબની બે પાંખો વચ્ચેનું અંતર પણ દસ હાથ હતું, બન્ને કરુબો કદ અને આકારમાં સરખા જ હતા.
૨૬
બન્ને કરુબની ઊંચાઈ દસ હાથ હતી.
૨૭
સુલેમાને એ બન્ને કરુબોને ભક્તિસ્થાનના પરમપવિત્રસ્થાનમાં ગોઠવ્યા હતા. કરુબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક કરુબની પાંખ એક દીવાલને અને બીજા કરુબની પાંખ બીજી દીવાલને સ્પર્શતી હતી અને તેઓની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને સ્પર્શતી હતી.
૨૮
સુલેમાને તે કરુબોને સોનાથી મઢાવ્યા હતા.
૨૯
તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દીવાલો પર અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરાવેલું હતું.
૩૦
તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.
૩૧
પરમપવિત્રસ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતૂનનાં લાકડાંના દરવાજા બનાવ્યા હતા. ઉંબરો અને બારસાખ દીવાલના પાંચમા ભાગ જેટલાં હતાં.
૩૨
આમ તેણે બે દરવાજા જૈતૂનનાં લાકડાંથી બનાવ્યા અને બન્ને દરવાજા પર કરુબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢી દીધાં હતાં.
૩૩
એ જ રીતે ભક્તિસ્થાનના દરવાજા માટે પણ જૈતૂનનાં લાકડાની બારસાખ દીવાલના ચોથા ભાગ જેટલી બનાવી.
૩૪
દરવાજાનાં બે કમાડ દેવદારનાં લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરેક દરવાજાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.
૩૫
એ દરવાજાઓ પર કરુબ, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢ્યા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options