Skip to content

નાહૂમ

ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી.
પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે.
ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે.
આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે.
સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું,” “હું તારો ચણિયો તારા મુખ પર ઉઠાવીશ અને તારી નગ્નતા હું પ્રજાઓને દેખાડીશ, રાજ્યોને તારી શરમ બતાવીશ.
હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે.
ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, ‘નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?’ તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?”
નિનવે, શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો?
કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.
૧૦
તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
૧૧
હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.
૧૨
તારા બધા કિલ્લાઓ તો પ્રથમ ફળના અંજીર જેવા થશે. જો કોઈ તેમને હલાવે તો તે ખાનારાના મોમાં પડે છે.
૧૩
જો, તારામાં રહેનાર લોકો સ્ત્રીઓ જેવા છે; તારા દેશની ભાગળો તારા શત્રુ માટે ખુલ્લી મૂકવામાં આવી છે; અગ્નિ વડે તારા દરવાજાઓ ભસ્મ કરી નાખવામાં આવ્યા છે.
૧૪
પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ.
૧૫
અગ્નિ તને ભસ્મ કરી નાખશે, તલવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ ભસ્મ કરી નાખશે. તીડની તથા કાતરાઓની જેમ તને વધારશે.
૧૬
તમે આકાશના તારા કરતાં તમારા વેપારીઓની સંખ્યા વધારી છે, પણ તેઓ તીડના જેવા છે: તેઓ જમીનને લૂંટે છે અને પછી ઊડી જાય છે.
૧૭
તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી.
૧૮
હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી.
૧૯
તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options